વડોદરામાં દૂષિત પાણીનો હાહાકાર, ૩ના મોત અને બાળકો સહિત ૨૦ને ઝાડા, ઉલટી, તાવ

Wednesday 16th June 2021 06:44 EDT
 

વડોદરાઃ શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ૮ની કચેરીમાં કચેરીની સામે આવેલ માળી મહોલ્લાના લોકોએ તોડફોડ કરી હતી. દૂષિત પાણી પીવાના કારણે ઝાડા ઉલટીના કેસો વધતા અને અક સપ્તાહમાં ૩નાં મોત થતા લોકો રોષે ભરાયા હતા. આજે સવારે વોર્ડ કચેરીમાં ધસી જઇ કચેરી બાનમાં લીધી હતી. આ બનાવની જાણ પોલીસને પોલીસ પહોંચી જઇ મામલે થાળે પાડ્યો હતો.
નાગરવાડા વિસ્તારમાં માળી મહોલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણી આવતું હતું. સ્થાનિક લોકોએ અનેક વખત દૂષિત પાણીનો પ્રશ્ન હલ કરવા માટે વોર્ડ ઓફિસમાં રજૂઆત કરી હતી. પરંતુ દૂષિત પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવ્યો ન હતો. છેલ્લા કેટલાક સમયથી આવી રહેલા દૂષિત પાણીના કારણે બાળકો સહિત ૨૦ ઉપરાંત લોકો ઝાડા, ઉલટી, તાવ સહિત બિમારીમાં પટકાતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. તે સાથે તંત્ર સામે ભારે રોષ ફાટી નિકળ્યો હતો. ઝાડા ઉલટી થવાના કારણે એક મહિલાનું મોત થતાં ગભરાયેલા લોકો સવારે વોર્ડ કચેરીમાં વોર્ડ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ, અધિકારી ન મળતા ટોળાએ કમ્પ્યુટર, ટેબલ, ખુરશી સહિત ફર્નિચરની તોડફોડ કરી રોષ ઠાલવ્યો હતો.રોષે ભરાયેલા લોકો વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં કચેરી દ્વારા પોલીસને જાણ કરતાં કારેલીબાગ પોલીસ સ્ટેશનનો કાફલો કચેરી ખાતે પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો. કચેરી બહાર ટોળે વળેલા લોકોથી માર્ગ ઉપરનો વાહન વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો.


comments powered by Disqus