• કેબિનેટ વિસ્તરણની તૈયારી, પાંચમી બેઠકમાં યાદી તૈયાર કરાઈ: કેન્દ્રિય કેબિનેટ વિસ્તરણ ટૂંક સમયમાં કરવામા આવી શકે છે. કેબિનેટમાં ક્યા નવા પ્રધાનોનો સમાવેશ કરવો અને કોની બાદબાકી કરવી તે અંગે નિર્ણય લેવાઇ ગયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રિય પ્રધાન રાજનાથસિંહ, નિતિન ગડકરી સાથે બેઠક યોજી હતી.
• અમેરિકા જતા સ્ટુડન્ટ માટે કોરોના રસીનો પુરાવો જરૂરી નથી:
ભારત ખાતેના એક અમેરિકન રાજદ્વારીએ જણાવ્યું હતું કે, ભારત ખાતેની અમેરિકન એમ્બેસીઓ જુલાઇ અને ઓગસ્ટમાં શક્ય તેટલા વધુ સ્ટુડન્ટ વિઝા અરજીનો નિકાલ કરવાની કામગીરી કરી રહી છે. સ્ટુડન્ટ વિઝા પર જનારા ભારતીય વિદ્યાર્થીઓને અત્યારે અમે ટોચની પ્રાથમિકતા આપી રહ્યા છીએ. અમેરિકન એમ્બેસી ખાતેના રાજદ્વારી ડોન હેલ્ફિને જણાવ્યું હતું કે, ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકામાં પ્રવેશ માટે કોરોનાની રસી લીધી હોવાનો કોઇ પુરાવો આપવાની જરૂર રહેશે નહીં.
• સોપોરમાં ગોળીબાર બે પોલીસ શહીદ, બે લોકોનાં મોતઃ જ્મ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકીઓએ પોલીસ તથા સીઆરપીએફના જવાનોની ટુંકડી પર ગોળીબાર કર્યો હતો. તેમાં બે પોલીસ કર્મી શહીદ થઇ ગયા હતા. આ હુમલામાં બે નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા. બે અન્ય પોલીસ કર્મી ઘવાયા હતા. હુમલા પાછળ લશ્કર-એ-તોઇબાનો હાથ છે. આંતકીઓએ આરામપોરામાં મુખ્ય ચોક નજીક બપોરના બે વાગ્યે પેટ્રોલિંગ ટુકડી પર તાબડતોબ ગોળીબાર કર્યો હતો.
• દેશમાં ૧૪ જૂનના કોરોના સંક્રમણના નવા ૮૦,૮૩૪ કેસ: ભારતમાં કોરોના મહામારીનો સેકન્ડ વેવ ધીમો પડી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં સતત છઠ્ઠા દિવસે કોરોના સંક્રમણના નવા એક લાખથી ઓછા એટલે કે ૮૦,૮૩૪ કેસ નોંધાયા હતા. દેશમાં દૈનિક કેસનો આંકડો છેલ્લા ૭૧ દિવસ પછી નીચા સ્તરે પહોંચ્યો હતો. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૨,૯૪,૩૯,૯૮૯ ઉપર પહોંચી હતી. ઝડપથી નવા સંક્રમણના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે.
• પાડોશી દેશો સાથે શાંતિપૂર્ણ સંબંધો ઈચ્છીએ છીએ - ભારતઃ ભારત પાકિસ્તાન સહિત તેના બધા જ પાડોશી દેશો સાથે શાંતિપૂર્ણ સંબંધો ઈચ્છે છે, પરંતુ દ્વિપક્ષીય વાટાઘાટો માટે શાંતિપૂર્ણ વાતાવરણ સર્જવાની જવાબદારી પાકિસ્તાનની છે. વધુમાં પાકિસ્તાને ભારતમાં સરહદ પારના આંતકવાદને પોષવાનું બંધ કરી દેવું જોઈએ તેમ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ આર. મધુસુદને જણાવ્યું હતું.
• રૂ.૨૭૯૦ કરોડના ક્રિપ્ટો વ્યવહારોમાં વઝીરએક્સને ઇડીની શો કોઝ નોટિસઃ રૂપિયા ૨૭૯૦.૭૪ કરોડની ક્રિપ્ટોકરન્સીને સાંકળતા આર્થિક વ્યવહારો માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દેશના એકમાત્ર ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ વઝીરએક્સને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) અંતર્ગત શો કોઝ નોટિસ પાઠવી છે. ચીની માલિકીની ગેરકાયદેસર ઓનલાઇન એપ્સની ચાલી રહેલી તપાસના આધારે ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ અને તેના ડિરેક્ટરો નિશ્ચલ શેટ્ટી તથા સમીર મહાત્રેને ફેમા અંતર્ગત રૂપિયા ૨૭૯૦.૭૪ કરોડના વ્યવહારોમાં ઉલ્લંઘન માટે નોટિસો પાઠવાઇ છે.
• રાજસ્થાન કોંગ્રેસનું રાજકીય ઘમસાણ ફરી દિલ્હી પહોંચ્યું: કોંગ્રેસમાં યુવાન નેતાઓના કાંગરા એક પછી એક ખરી રહ્યા છે. પહેલાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને પછી જિતિન પ્રસાદ હાઇ કમાન્ડથી નારાજ થઈ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. હવે રાજસ્થાનમાં સચિન પાયલટ અને તેમનાં ટેકેદારોએ બળવાનો બૂંગિયો ફૂંક્યો છે. પંજાબમાં સીએમ કેપ્ટન અમરિન્દરસિંહ અને નવજોતસિંહ સિદ્ધુ વચ્ચેની ટાંટિયાખેંચનો હજી ઉકેલ આવ્યો નથી ત્યાં રાજસ્થાનમાં પાર્ટીનાં આંતરિક અસંતોષનો દાવાનળ ભડક્યો છે. પાયલટ અને તેનાં ટેકેદારોએ ફરિયાદ કરી છે કે, એક વર્ષ પહેલાં તેમને આપેલા વચનોનું ૧૦ મહિના પછી પાલન કરાયું નથી. પાયલટ અને તેમનાં ટેકેદારોને મનાવવા ફરી એકવાર પ્રિયંકા ગાંધી મેદાનમાં આવ્યા છે.
• દેશનું વિદેશી હૂંડિયામણ ભંડોળ પહેલી જ વાર ૬૦૦ અબજ ડોલરને પારઃ રિઝર્વ બેન્કના ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે ૪ જૂને પુરા થતા સપ્તાહ દરમિયાન વિદેશી હુંડિયામણ ભંડોળમાં ૬.૮૪૨ અબજ ડોલરનો ઉમેરો થતાં દેશના વિદેશી હુંડિયામણના ભંડાર ૬૦૦ અબજ ડોલરના વિક્રમજનક સ્તરને પાર કરી ગયા હતા. ૪ જૂને પુરા થતા સપ્તાહમાં વિદેશી હુંડિયામણ ભંડોળની સપાટીએ ૬૦૫.૦૦૮ અબજ ડોલરની વિક્રમજનક સપાટી વટાવી દીધી હતી. ફોરેન કરન્સી એસેટમાં થયેલી વૃદ્ધિને કારણે આમ બન્યું હતું. તે પહેલાંના ૨૮ મે, ૨૦૨૧ના રોજ પુરા થતા સપ્તાહમાં વિદેશી હુંડિયામણ ૫.૨૭૧ અબજ ડોલર વધીને ૫૯૮.૧૬૫ અબજ ડોલરની સપાટીએ પહોંચ્યું હતું.
• કોરોના રસીની આડઅસરના ૨૬ હજાર કેસ જ્યારે ૪૮૮નાં મૃત્યુઃ સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર ૧૬ જાન્યુઆરીથી ૭ જૂન વચ્ચે દેશમાં કોરોના વેક્સિનના કારણે ૨૬,૦૦૦ લોકોને આડઅસર થઈ છે અને તેમાંથી ૪૮૮ લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. આ સમયગાળામાં વેક્સિનના કુલ ૨૩.૫ કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. તેમાંથી માત્ર ૨૬,૨૦૦ કેસમાં એટલે કે માત્ર ૦.૦૧ ટકા આડઅસર થઈ હતી.
• વાઈરસ જેનોમ બદલીને ડેલ્ટા+ બન્યોઃ કોરોનાની બજી લહેરમાં પૂરઝડપે ચેપ ફેલાવીને હાહાકાર મચાવનાર ડેલ્ટા વાઈરસ હવે વધુ એક મ્યૂટેશન કરીને અનેકગણો વધારે ખતરાક ડેલ્ટા+ બની ગયો છે. એવો બ્રિટનની આરોગ્ય સંસ્થા પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના નિષ્ણાતોએ દાવો કર્યો છે. અત્યારે કોરના દર્દીઓને મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેલની સારવાર આપીને સાજા કરવામાં આવે છે. ડેલ્ટા+ આ સારવારને તેની અસર થતી નથી. નિષ્ણાતોએ જણાવ્યું હતુ કે, ડેલ્ટા વેરિઅન્ટના ૬૩ જેનોમ મ્યૂટેશન પામીને નવો કે૪૧૭એન વેરિયિન્ટ બની ગયો છે. તેને ડેલ્ટા+ નામ આપવામાં આવ્યું છે.
• જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની તૈયારી, કેન્દ્ર પક્ષો સાથે ચર્ચા કરશેઃ જમ્મુ કાશ્મીરની ચૂંટણીઓ સાથે જોડાયેલી રાજનીતિક પ્રક્રિયા શરૂ કરવા અને રાજ્યનો દરજ્જો બહાલ કરવા માટે કેન્દ્ર સરકાર રાજ્યના રાજકીય પક્ષોની સાથે વાતચીત શરૂ કરી શકે છે તેવા અહેવાલો છે. જોકે આ સમગ્ર મામલે કોઇ રાજકીય પક્ષને સત્તાવાર રીતે આમંત્રણ નથી આપવામા આવ્યું પણ ચર્ચા ચાલુ કરી દેવાઇ હોવાનો રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. જોકે બીજી તરફ જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં મદદ કરવા માટે ગઠીત સાત પક્ષીય ગુપકર ગઠબંધને કેન્દ્ર સરકાર સાથે વાતચીતમાં સામેલ થવાના સંકેતો આપ્યા છે.