નવી દિલ્હીઃ અમેરિકાના તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ ચીન પ્રત્યે અત્યંત આકરું હતું. બીજી તરફ ટ્રમ્પે ભારત તરફ મૈત્રી વધારી દીધી હતી. ટ્રમ્પની ઈચ્છા ભારતને ચીન વિરુદ્ધ અડીખમ રાખવાની હતી. ચીન સાથે વ્યાપારીક સંબંધો ઓછા કરવાનું ટ્રમ્પનું ભારત પર સતત દબાણ હતું. ભારતે પણ ચીન સાથે અનેક વ્યાપારિક સંબંધો પર રોક લગાવી હતી. સાથે સાથે ચીન-ભારત વચ્ચે સંઘર્ષ ચાલતો રહે એમાં પણ અમેરિકાને રસ હતો. ટૂંકમાં સ્થિતિ થાળે પડે એ વાતમાં અમેરિકાને ખાસ રસ ન હતો.
પરિણામે સરહદે થયેલો સંઘર્ષ છેવટે નવ મહિના સુધી લંબાયો. અમેરિકામાં સત્તા બદલાઈ એ સાથે જ હિમાલયની ટોચે ભારત-ચીન વચ્ચેના સમીકરણો પણ બદલાયા. હવે આગામી દિવસોમાં તંગદિલી પણ શાંત પડી જાય તો નવાઇ નહીં.
ચીનના ૪૫ સૈનિકો માર્યા ગયા હતાઃ રશિયા
ગલવાન સંઘર્ષમાં ભારતના ૨૧ જવાનો શહિદ થયા હતા. તો સામે પક્ષે ચીનને મોટું નુકસાન થયું હતું. જોકે ચીને ક્યારેય તેનો આંકડો જાહેર કર્યો નથી. રશિયન સમાચાર સંસ્થાના અહેવાલ પ્રમાણે ચીનના ૪૫ સૈનિકો આ ઘર્ષણમાં માર્યા ગયા હતા. અગાઉ અમેરિકી ઇન્ટેલિજન્સ એજન્સીએ પણ ચીનના ૪૦થી વધુ સૈનિકો માર્યા ગયાના અહેવાલો આપ્યા હતા.

