અમદાવાદઃ સાબરમતી જેલમાં રહેલા કેદીઓના હાથ બનતાં ભજીયા અમદાવાદીઓ અને ગુજરાતીઓને એટલા દાઢે વળગ્યા છે કે, વર્ષે રૂ. ૧ કરોડથી વધુ કિંમતના ભજીયા વેચાઈ જાય છે. જેલથી થોડે દૂર, જેલના કેદીઓ દ્વારા જ ચલાવવામાં આવતાં ભજીયા હાઉસની ખ્યાતિ દેશવ્યાપી છે. હવે, જેલ ભજીયા હાઉસનું નવિનીકરણ કરવાની યોજના ઘડી કાઢવામાં આવી છે. અત્યારે એક માળનું જેલ ભજીયા હાઉસ ત્રણ માળનું બનાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. ઉપરાંત દસ્તાવેજી ઈતિહાસની ઝાંખી આપતું આઝાદી મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે. જ્યારે, ત્રીજા માળે રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે. એકસાથે ૧૦૦ માણસો જેલના કેદીઓએ બનાવેલી ગુજરાતી થાળી માણી શકાશે
આ થાળીને ગાંધી થાળી નામ આપવામાં આવનાર છે. એકસાથે ૧૦૦ માણસો સાત્વિક ભોજન ગાંધી થાળીની લીજ્જત લઈ શકે તેવી વ્યવસ્થા પણ સાબરમતી જેલના કેદીઓ જ કરશે
ફીલ ધ જેલ : ૫૦૦ રૂપિયા ચૂકવી જેલમાં એક દિવસ-રાત વિતાવી શકાશે !
જેલના નામથી જ લોકો ફફડી ઉઠે છે. પરંતુ, તેલંગાણામાં ફીલ ધ જેલ નામનો કન્સેપ્ટ છે તે અમદાવાદની સાબરમતી જેલમાં કાર્યરત કરવા વિચારણા ચાલી રહી છે. તેલંગાણામાં કોઈપણ નાગરિક ૫૦૦ રૂપિયા ચૂકવીને એક દિવસ અને એક રાત જેલમાં રહી શકે છે. નાગરિકો જેલના જીવનનો અહેસાસ કરી શકે તે હેતુથી અમદાવાદમાં પણ ફીલ ધ જેલ કન્સેપ્ટ અમલી બનાવવામાં આવનાર છે.