અમદાવાદઃ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી એવી વલસાડ શુગર મિલ (વલસાડ સહકારી ખાંડ ઉદ્યોગ લિમિટેડ) સામે કામદારોએ લાંબા કાનુની જંગ બાદ આખરે જીત મેળવી છે. જેમાં, હાઈકોર્ટના સિંગલજજે ચુકાદો આપ્યો છે કે, ‘મિલના મેનેજમેન્ટ દ્વારા ત્રણ અરજદારોને વર્ષ ૨૦૦૫થી લઈને નિવૃત્તિ સુધી પૂરો પગાર ચુકવો અને ટર્મિનેટ કર્યા છે, ત્યારથી લઈને વર્ષ ૨૦૦૫ સુધી ૭૦ ટકા પગાર ચુકવો. આ ઉપરાંત, અન્ય બે અરજદારોને જ્યારથી ટર્મિનેટ કર્યા છે ત્યારથી લઈ નિવૃત્તિ સુધી સો ટકા પગાર ચુકવો. અરજદારોને અન્ય મળવાપાત્ર લાભ પણ ચુકવો. હાઈકોર્ટે એ પણ આદેશ કર્યો છે કે, લેબર કોર્ટ અને ઈન્ડસ્ટ્રીયલ કોર્ટે કામદારોની તરફેણમાં આપેલા જેટલા એવોર્ડ (હુકમ) મિલ દ્વારા પડકારાયા છે, તે દરેકદીઠ મિલને રૂ. ૨૦ હજારનો દંડ ફ્ટકારાય છે.’
હાઈકોર્ટનુ અવલોકન છે કે, ‘મિલ દ્વારા અરજદાર કામદારોને તેમના કોઈપણ વાંક વગર નોકરીમાંથી હટાવ્યા છે. આ કામદારો પિડીત હોવાથી તેમને પૂર્ણ પગાર ચુકવવો પડે. મિલ પાસે નાણાકીય ક્ષમતા હોવાથી, સંચાલકોએ આ કામદારોને ખોટી રીતે વિવિધ કેસના પ્રોસિડીંગ્સમાં સંડોવ્યા છે અને ન્યાયની સમગ્ર પ્રક્રિયાને વિલંબમાં નાખી છે. જેથી, આ કામદારોન કોર્ટનુ રક્ષણ મળવું જોઈએ. આ પ્રકારના કેસમાં ક્કનો વર્ક નો પેક્રનો નિયમ લાગુ પડે નહીં. ભૂતકાળમાં કોર્ટે મિલને આદેશ કર્યો હતો કે, કામદારોને નોકરીમાં પરત લો. પરંતુ, તેનો અમલ થયો નથી. જેના લીધે, કામદારોને હેરાન થવું પડયું છે. આ કેસની સુનાવણી દરમિયાન ત્રણ અરજદારોના મૃત્યુ થઈ ચુક્યા છે અને કેટલાક નિવૃત્તિ ઉપર પસાર કરી ચુક્યા છે.’