આણંદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આણંદ રહેતા પોતાના બાળપણના મિત્ર સુમનભાઈ ચૌધરી સાથે ટેલિફોનિક વાતચીત કરીને જૂનાં સંસ્મરણો વાગોળ્યા હતા. સાથે-સાથે વડા પ્રધાને તેમના મિત્રની તબિયતના હાલચાલ પૂછી કોરોનાકાળમાં સ્વાસ્થ્યની તકેદારી લેવા પણ જણાવ્યું હતું.
સુમનભાઈ ચૌધરીના પુત્રવધૂએ વડા પ્રધાન મોદીને પત્ર લખી તેમની સાથે તેમના બાળપણના મિત્રને વાત કરવાની ઈચ્છા દર્શાવી હતી. ત્યારબાદ ગત તા. ૧૩ જૂલાઈની સવારે વડા પ્રધાન મોદીએ તેમના મિત્ર સુમનભાઈને સંપર્ક કરી આશરે ૪ મિનિટ સુધી ટેલિફોનિક વાતચીત કરી. વડા પ્રધાન મોદીએ સૌપ્રથમ સુમનભાઈને તેમની તબિયત અંગે પૃચ્છા કરી. સાથે જ કોરોનાકાળમાં તબિયત સાચવવાની સલાહ આપી. બાદમાં બંનેએ પોતાના જૂના મિત્રો અંગે પણ ચર્ચા કરી.
વડા પ્રધાન મોદીએ સુમનભાઈને તેના પૌત્ર નિસર્ગને સારું શિક્ષણ આપવાની વાત કરી. નિસર્ગે વડા પ્રધાનને જણાવ્યું કે તે એન્જિનિયરીંગમાં સ્ટડી કરે છે અને કોરોનાને કારણે ઓનલાઈન અભ્યાસ કરી રહ્યો છે. નિસર્ગને તેના માતા-પિતાની તબિયત અંગે પણ વડા પ્રધાન મોદીએ પુછયું હતું.
જૂના મિત્રોને યાદી આપી
વડા પ્રધાન મોદીએ મિત્ર સુમનભાઈ સાથે વાતચીત દરમિયાન વાલજીભાઈ, કનુભાઈ જેવા ઘણા મિત્રોને યાદ કરી સુમનભાઈને તે તમામ મિત્રોને યાદી આપવા જણાવ્યું હતું. વાતચીતના અંતે વડા પ્રધાન મોદીએ સુમનભાઈ સાથે ફરી વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરીને વધતી વયના કારણે તેમની તબિયતનું ધ્યાન રાખવાની સલાહ પણ આપી. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદી આ જ રીતે પોતાના વડનગર સ્થિત મિત્રો સાથે પણ ઘણી વાર વાતચીત કરીને તેમના ખબરઅંતર પૂછતા હોય છે.