અમદાવાદઃ ગુજરાતમાં ૨૪ જૂન બાદ પ્રથમ વાર મંગળવારે એક જ દિવસમાં ૪ લાખથી વધુ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ રસીકરણનો આંક હવે ૩.૦૧ કરોડને પાર થઇ ગયો છે. આમ, ગુજરાતની પુખ્ત વયની ૬૧ ટકા વસતી કોરોના વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લઇ ચૂકી છે.
૩ કરોડથી વધુ લોકો કોરોના વેક્સિન લઇ ચૂક્યા હોય તેવું ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર બાદ ગુજરાત ત્રીજું રાજ્ય છે. ઉત્તર પ્રદેશમાંથી ૪.૧૫ કરોડ, મહારાષ્ટ્રમાંથી ૪.૦૧ કરોડ લોકો કોરોના વેક્સિન લઇ ચૂક્યા છે. ગુજરાતમાંથી ૨.૩૧ કરોડ લોકો કોરોના વેક્સિનનો એક ડોઝ જ્યારે ૭૦.૧૮ લાખ લોકો બંને ડોઝ લઇ ચૂક્યા છે. આ સ્થિતિએ રાજ્યમાં ફૂલ્લી વેક્સિનેટેડ ૧૪ ટકા લોકો છે. ગુજરાતમાં ૪.૮૯ કરોડ લોકો રસી લેવા માટેની માન્ય એવી ૧૮થી વધુની વય ધરાવે છે.
રાજ્યમાં ૧.૬૩ કરોડ પુરુષ અને ૧.૩૭ કરોડ મહિલાઓ દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી છે. ગુજરાતમાંથી અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ ૩૪.૨૮ લાખ જ્યારે ડાંગમાંથી સૌથી ઓછા ૭૧ હજારનું કોરોના રસીકરણ થયું છે.