પૈસાના વરસાદની લાલચ આપી ધુતારો જ્યોતિષી રૂ. ૯૫ લાખ સેરવી ગયો

Thursday 22nd July 2021 04:18 EDT
 

અમદાવાદ: ‘હું જૂનાગઢવાળા કાશ્મીરી બાપુનો શિષ્ય છું. તંત્ર-મંત્રથી સમસ્યા દૂર કરી આપું છું’ તેમ કહીને ઠગ જ્યોતિષીએ યુવકની આર્થિક સમસ્યા દૂર કરી અઢળક રૂપિયાનો વરસાદ વરસાવવાની લાલચ આપીને ટુકડે ટુકડે રૂ. ૯૪.૬૬ લાખ પડાવ્યા હતા. જ્યોતિષીએ યુવાનને કચ્છના મૃતક ખેડૂતની ખારા પટવાળી ૫૦ હજાર એકર જમીન સસ્તામાં અપાવવાની લાલચ આપીને પૈસા પડાવ્યા હતા.
અમદાવાદના સેટેલાઇટમાં રહેતા જિજ્ઞેશ મહોરોવાલા (૪૯)ની ૨૦૧૦માં મુલાકાત જ્યોતિષીનું કામ જાણતા હિતેશ ઉર્ફે ઘનશ્યામ યાજ્ઞિક સાથે થઇ હતી. જિજ્ઞેશની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી હિતેશે તેને કહ્યું હતું કે, પોતે જૂનાગઢવાળા કાશ્મીરી બાપુનો શિષ્ય છે. તંત્ર-મંત્રની સમસ્યા દૂર કરે છે. આમ કહીને થોડા દિવસ પછી હિતેશે જિજ્ઞેશના ઘરે જઇ એક કુલડી દાટી કહ્યું કે હવે તમારી બધી સમસ્યાના સમાધાન
થઇ જશે.
૨૦૧૬માં હિતેશે કચ્છ-રાપરના વરૂણુના ગામમાં મૃતક ભોળાભાઇ પટેલની ૫૦ હજાર એકર ખારા પટની જમીન સસ્તામાં ખરીદીને જિજ્ઞેશને આપવાની વાત કરી હતી. અને એ જમીન મોટી કંપનીઓ ઊંચી કિમતે ખરીદશે તો અઢળક રૂપિયા મળશે તેમ કહ્યું હતું. ત્યારબાદ ભોળાભાઇની જમીન અપાવવાની સાથેસાથે તંત્ર-મંત્રની ગૂઢ વિદ્યા શીખવીને અઢળક રૂપિયા કમાવાની લાલચ આપી હતી. આ પછી જ્યોતિષી હિતેશે ૩ વાહન અને દાગીના મળીને રૂ. ૯૪.૬૬ લાખ પડાવી લીધા હતા. આ અંગે જિજ્ઞેશભાઇએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

‘આર્થિક સ્થિતિ સારી નથી’એમ કહી ફોન બંધ કર્યો

જિજ્ઞેશભાઇ અને તેમના મામાના દીકરા પાસેથી હિતેશે તાંત્રિક વિધિ અને જમીન અપાવવાને બહાને રૂ. ૯૪.૬૬ લાખ પડાવી લીધી હતા. ત્યારબાદ માર્ચ ૨૦૨૧માં જિજ્ઞેશભાઇએ પૈસા પાછા માગતા હિતેશ કહ્યું હતું કે, હમણાં સારી આર્થિક સ્થિતિ સારી નથી. મારી પાસે પૈસા નથી. ત્યાર બાદ ચાંદીના દાગીના આપવાનું કહીને તે આપ્યા ન હતા અને ફોન પણ બંધ કરી દીધો હતો.


comments powered by Disqus