ભરૂચમાંથી રોજગારી માટે ગયેલા લોકોની દુકાનો-મોલમાં નિગ્રોની તોડફોડ

Thursday 22nd July 2021 04:48 EDT
 

ભરૂચઃ જિલ્લામાંથી રોજગારી માટે હજારો યુવાનો સાઉથ આફ્રિકા ખાતે સ્થાયી થયાં છે. ત્યારે છેલ્લાં કેટલાક દિવસથી સાઉથ આફ્રિકામાં નિગ્રો પ્રજાતિના લોકો દ્વારા આતંક મચાવાઇ રહ્યો છે. દુકાનો-મોલમાં લૂંટફાટ ચલાવવા સાથે તોડફોડ કરી નુકસાન કરાઇ રહ્યું છે, જેમાં સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલાં ભરૂચના લોકોના પરિવારોમાં ચિંતાના વાદળો છવાયાં છે.
ભરૂચ જિલ્લામાંથી ૬૫થી વધુ ગામના પરિવારો વિદેશોમાં રોજગારી માટે સ્થાયી થયાં છે. સાઉથ આફ્રિકાના વિવિધ શહેરોમાં ભરૂચ, કંથારીયા, વોરાસમની સહિતના આસપાસના મુસ્લિમ બાહુલ ગામોના હજારો પરિવારો સ્થાયી થયાં છે. મોટા ભાગના ગુજરાતી પરિવારો દુકાનો અને ગોડાઉનો ધરાવે છે. જોકે, છેલ્લાં ત્રણેક દિવસથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલાં ભરૂચના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયાં છે. નિગ્રો પ્રજાતિના લોકો દ્વારા કેટલાક દિવસથી હિંસક વાતાવરણ સર્જી લૂંટફાટ ચલાવવામાં આવી રહી છે.
ભારત, શ્રીલંકા, પાકિસ્તાની સહિતના એશિયાયી મુળના લોકોની દુકાનોમાં તોડફોડ કરાઇ રહી છે. ભરૂચમાંથી સાઉથ આફ્રિકા ગયેલાં લોકોના ભરૂચમાં રહેતાં પરિવારજનો હાલમાં ઘટનાને પગલે ચિંતાતુર બન્યાં છે અને સતત પોતાના સ્વજનોને ફોન કરી તેના ખબર અંતર પુછી રહ્યાં છે. સાઉથ આફ્રિકામાં છાસવારે લૂંટના ઇરાદે થતાં હૂમલામાં ભરૂચના સેંકડો લોકોની ભુતકાળમાં હત્યા થઇ છે. ત્યારે હાલમાં સર્જાયેલી હિંસામાં ત્યાં રહેતાં લોકોની સુરક્ષાને લઇને લોકો ચિંતીત બન્યાં છે.
દક્ષિણ આફ્રિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમા જેલમાં ધકેલવાને કારણે દેશના બે પ્રાંતના ગૌટેંગ અને ક્વાઝુલુ-નાતાલ પ્રાંતોમાં હિંસામાં ફાટી નિકળી છે. જેમાં અત્યાર સુધીમાં ૭૨ લોકોનાં મોત નીપજ્યાં હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. જોકે, હિંસાને રોકવા માટે સૈન્યને પણ ઉતારવામાં આવી હોવાનું જણાવા મળ્યું છે.


comments powered by Disqus