જામનગર: લાંબા સમયથી ફરાર કથિત જમીન માફિયા જયેશ પટેલ અને નાસતાફરતા તેના બન્ને સાગરિતોને સ્પેશિયલ કોર્ટે ૩૦ દિવસમાં હાજર થવા ફરમાન જારી કર્યું છે. આ આરોપીઓ સામે ગુજસીટોક (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ)ની જોગવાઇ હેઠળ પોલીસ કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ આરોપીઓની મિલ્કતો પણ ટાંચમાં લેવા તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે આ પ્રકરણમાં તમામ આરોપીઓની મિલકતની આકારણી કરી લીધી છે અને ટૂંક સમયમાં સીલ કરવા કાર્યવાહીનો ધમધમાટ શરૂ થશે. બીજી તરફ આ પ્રકરણના મુખ્ય આરોપી એવો જયેશ પટેલ હાલ લંડન જેલમાં છે અને તેના પ્રત્યર્પણ માટેની કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે. એવા સમયે કોર્ટ દ્વારા જાહેર કરાયેલ સમન્સને લઈને ફરી વખત ગુજસીટોક પ્રકરણ જીવંત થયું છે. ગુજસીટોક અંતર્ગત ગત ૧૫ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ટોળકી સામે ફરિયાદ નોંધાઇ હતી.