મેં દારૂની ફરિયાદ કરી તો ઘરે બુટલેગરો આવ્યાઃ ધારાસભ્ય રાણાની ગૃહ પ્રધાનને રાવ

Thursday 22nd July 2021 04:40 EDT
 

સુરત: શહેરમાં રવિવારે ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ધારાસભ્યો સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી જેમાં તમામ ધારાસભ્યોએ વિવિધ વણઉકેલ મુદ્દે ફરિયાદો રજૂ કરી હતી. તમામ ધારાસભ્યોની એક જ ફરિયાદ હતી કે, કોન્સ્ટેબલો દાદા થઈ ગયા છે, પ્રજા પર અત્યાચાર કરે છે.
ધારાસભ્ય અરવિંદ રાણાએ તો ગૃહ પ્રધાનને એવી ફરિયાદ કરી હતી કે, મેં દારૂની ફરિયાદ કરી તો મારા ઘરે બુટલેગરો આવી ગયા હતા. આ મુદ્દે ગૃહ પ્રધાને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસનો ઉધડો લેતા કહ્યું કે, તમારાથી ફરિયાદનો નિકાલ થશે કે પછી ગાંધીનગરથી મારી ટીમ મોકલું? અરવિંદ રાણાએ વધુમાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં અશાંત ધારો લંબાવવાની પણ લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ વિસ્તારમાં અશાંતધારાનું ચુસ્તપણે પાલન થવું જોઈએ. આ વિસ્તારમાં અશાંતધારો વધુ પાંચ વર્ષ સુધી રહેવો જોઈએ. પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સ્થાનિક સાંસદ સી. આર. પાટીલ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને ગેરકાયદે બાંધકામ મુદ્દે ‘પાસા’ હેઠળની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.


comments powered by Disqus