અમદાવાદઃ ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ - એનઆરજી સેન્ટરમાં ૧૭ જુલાઈના રોજ ‘યુકેમાં કોરોના મહામારી બાદની પરિસ્થિતિ’ વિષય પર વેબિનાર યોજાયો હતો. જેનો મુખ્ય હેતુ કોવિડ-૧૯ બાદ યુકેમાં વસતા અને યુકે જવા ઇચ્છતા હોય તેમના માટે ત્યાંની સ્થિતિ અંગે માહિતગાર કરવાનો હતો. પ્રકાશક-તંત્રી સી.બી. પટેલના અતિથિ વિશેષ પદે યોજાયેલા આ વેબિનારમાં લંડનસ્થિતિ હાઇકમિશન ઓફ ઇન્ડિયાના ફર્સ્ટ સેક્રેટરી (ઇકોનોમિક) શ્રી રોહિત વઢવાણા-આઇએફએસ અને બ્રિટિશ-ભારતીય સમુદાયના અગ્રણી તથા લંડનસ્થિત સંગત સેન્ટરના સંચાલક શ્રી કાંતિભાઈ નાગડા ઓનલાઈન જોડાયા હતા.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચનમાં જીસીસીઆઇ-એનઆરજી સેન્ટર-અમદાવદાના ચેરમેન દિગંત સોમપુરાએ મહેમાનો અને સભ્યોને આવકાર્યા હતા. કાર્યક્રમના અતિથિ વિશેષ સી.બી. પટેલે તેમના વકતવ્યમાં જણાવ્યું હતું કે બ્રિટનમાં આશરે ૨૦ લાખ જેટલા ભારતીયો વસી રહ્યા છે. જેમાં ૮ લાખ ગુજરાતીઓમાંથી બાવન ટકા જેટલા ગુજરાતીઓ આફ્રિકાથી માઈગ્રેટ થયેલા છે. કોરોનાના કપરા કાળમાં બ્રિટનમાં રહેતા લોકોએ ઘણું સહન કરવું પડ્યું છે, પરંતુ ખમીરવંતા સાહસિક ગુજરાતીઓએ આફતને અવસરમાં ફેરવી નાંખી છે. આર્થિક, સામાજિક પ્રશ્નોમાં અનેક મુશ્કેલીઓ પડવા છતાં ગુજરાતીઓએ પોતાના વ્યવસાય અને નોકરીઓ સહજ રીતે ટકાવી રાખ્યા છે.
રોહિત વઢવાણા-આઇએફએસે શ્રી નટુભાઈ પટેલ અને કમિટિના સભ્યોનો આભાર માનતા જણાવ્યું હતું કે, બ્રિટનમાં વેક્સિનેશન મોટા પ્રમાણમાં થઇ ગયેલ છે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ માટેની પણ ઘણી તકો ઉપલબ્ધ છે તથા યુનિવર્સિટી દ્વારા કાઉન્સેલિંગ સેલ ચાલુ કરેલ છે.
જાણીતા બિઝનેસ કન્સલ્ટન્ટ સુનિલ પારેખ સાથેની પ્રશ્નોત્તરીમાં તેમણે માહિતી આપતા જણાવેલ હતું કે, છેલ્લા ૭૦ વર્ષોમાં અગાઉ થયેલા ન હોય તેવા સારા કામો બન્ને દેશો વચ્ચે થયા છે. ભારત અને યુકેના વિકાસ માટે મે મહિનામાં ભારત અને બ્રિટનના વડા પ્રધાને કરેલ વર્ચ્યુઅલ સમિટમાં ઇન્ફર્મેશન અને સ્ટાર્ટ અપ અંગેના કરાર થયેલ છે.
બ્રિટનથી જોડાયેલાં ક્રિષ્ના પુજારાએ જણાવ્યું હતું કે, બ્રિટનમાં ગેરકાયદે વસતાં લોકોને પણ કોઈ પ્રશ્નો કર્યા વગર વેક્સિનેશન કરાયું છે. ભારત-યુકેના આર્થિક સંબંધો વિશે વિશેષ માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, કોવિડ અને બ્રેક્ઝિટ પછી પણ બ્રિટનમાં બિઝનેસ માટે પણ કોઈ સમસ્યા નથી. એક અહેવાલ મુજબ ૨૦૧૯માં ભારતની ૮૪૦ કંપનીઓ કાર્યરત હતી, જેણે ૧,૦૫,૦૦૦ નોકરીઓનું ઉપાર્જન કર્યું હતું અને ૨૦૨૦ના કોવિડના ગંભીર સંજોગોમાં પણ ૮૫૦ કંપનીઓ નોંધાઈ હતી. જેનાથી ૧૦૧૦ નોકરીઓનું ઉપાર્જન કરવામાં આવ્યું હતું.
શ્રી કાંતિભાઈ નાગડાએ જણાવ્યું હતું કે, કોવિડ સમયમાં સ્વૈચ્છિક સંગઠનો બંધ થતાં સરકારે તેમને પોતાની નિયંત્રણ હેઠળ લઈને ધંધા માટે લોન, વિઝા ફી માફી, જરૂરિયાતમંદ લોકોને ખાદ્યસામગ્રી વગેરે જેવી મદદ પૂરી પાડી હતી.
‘યુકેમાં કોરોના મહામારી બાદની પરિસ્થિતિ’ અંગેના ઓનલાઇન વેબિનારમાં મોટા પ્રમાણ લોકો જોડાયા હતા. અંતમાં ચેરમેન દિગંતભાઈ સોમપુરાએ આભાર વ્યક્ત કર્યો હતો.