ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપની સરકારોમાં નરેન્દ્ર મોદી પછી મુખ્ય પ્રધાનપદે વિજય રૂપાણી ૭ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ પાંચ વર્ષ પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યા છે. આ પાંચ વર્ષની ઉજવણી માટે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં કમિટી રચવામાં આવી હતી.
આ કમિટી સમક્ષ પહેલીથી નવમી ઓગસ્ટ એમ ૯ દિવસ સુધીના કાર્યક્રમોનો ડ્રાફ્ટ તૈયાર થયો છે. જેમાં મહિલા, યુવાનો, ખેડૂતો, આદિવાસી, શિક્ષણ, વિકાસ, શહેરીવિકાસ એમ વિવિધ થીમ ઉપર રોજેરોજ રાજ્યકક્ષાએ એક અને દરેક જિલ્લાઓમાં ઉજવણીની રૂપરેખા તૈયાર થઈ છે. આ નવ દિવસના કાર્યક્રમો માટે સ્થળ હવે પછી નક્કી થશે. જોકે સાતમી ઓગસ્ટે સ્ટેચ્યુ ઓફ યુનિટી અથવા મહાત્મા મંદિર ખાતે મેગા ઈવેન્ટનું આયોજન થશે એ નિશ્ચિત છે, જેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.
મુખ્ય પ્રધાને સાંસદોને નોંધ મોકલી
સોમવારથી લોકસભા-રાજ્યસભાનું ચોમાસું સત્ર શરૂ થયું છે. મુખ્ય પ્રધાન રૂપાણીએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા સાંસદોને કોરોનાકાળ, તાઉતે વાવાઝોડા સહિત પોતાની સરકારે કરેલી કામગીરીની નોંધ મોકલી છે. જેની સાથે એક પત્ર પણ પાઠવ્યો છે, જેમાં તેમણે સંસદમાં ચર્ચા કે પ્રશ્નોત્તરી વેળાએ કામગીરીના નોંધના મુદ્દાઓને સમાવવા જણાવ્યુ છે.
ખુલ્લા સ્થળોની શોધખોળ
ઉજવણી કમિટી સાથે જોડાયેલા ટોચના અધિકારીએ કહ્યું કે, મુખ્ય પ્રધાન સમક્ષ પ્રેઝન્ટેશન કર્યા બાદ કોવિડ-૧૯ની ગાઈડલાઈનનો અમલ કરી શકાય તેવા સ્થળો નક્કી થશે. દરેક કાર્યક્રમમાં પાંચ વર્ષની કામગીરીને દર્શાવતી સાત-આઠ મિનિટની ફિલ્મ રજૂ થશે. જિલ્લા સ્તરે પ્રધાનોની હાજરીમાં ઘણા ખરાં કાર્યક્રમોનું વર્ચ્યઅલ આયોજન થયુ છે.
પાંચ વર્ષ આ રીતે ઉજવાશે
• ૧ ઓગસ્ટ - જ્ઞાન શક્તિ દિન: શાળાના ઓરડા, પંચાયત ઘર અને આંગણવાડીના ખાતમૂર્હત અને લોકાપર્ણ ઉપરાંત ‘નમો ઈ-ટેબલેટ’ના વિતરણ માટે ૧૦૦ સ્થળોએ કાર્યક્રમો.
• ૨ ઓગસ્ટ - સંવેદના દિન: નાગરિક સેવા માટે ૨૫૦ તાલુકા, ૧૫૦ નગરપાલિકા અને મ્યુ. કોર્પોરેશનમાં ઝોન વાઈઝ વોર્ડ દીઠ એક એમ કુલ ૫૦૦ સ્થળે સેવા સેતુ કાર્યક્રમો.
• ૩ ઓગસ્ટ - કેબિનેટનો દિવસ: મુખ્ય પ્રધાન સહિતના પ્રધાનો ગાંધીનગરમાં રહેશે. બુધવાર હોવાથી સ્વર્ણિમ સંકુલ-૧માં કેબિનેટની બેઠક બાદ વિવિધ ક્ષેત્રના મુલાકાતીઓને મળશે.
• ૪ ઓગસ્ટ - મહિલા સશક્તિકરણ: શહેરોની ૫૦૦૦ સહિત ૧૦,૦૦૦ સખીમંડળોને જોડીને રાજ્યની એક લાખ બહેનોને બેન્ક ધિરાણ આપવા રાજ્યમાં ૭૦થી ૧૦૦ સ્થળે કાર્યક્રમો.
• ૫ ઓગસ્ટ - ધરતીપુત્ર સન્માન દિન: ડાંગમાં વિશેષ કાર્યક્રમ સાથે ગુજરાતમાં ૫૦ સ્થળે કિસાન સૂર્યોદય યોજના અને ૫૦ સ્થળે સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના એમ કુલ ૧૦૦ સ્થળે કાર્યક્રમો.
• ૬ ઓગસ્ટ - યુવા શક્તિ દિન: જિલ્લાદિઠ એક એમ ૩૩ ઔદ્યોગિક રોજગાર મેળા યોજીને ગુજરાતમાં અંદાજે ૫૦ હજાર યુવાનોને નિમણૂંક પત્રો આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
• ૭ ઓગસ્ટ - ગરીબ ઉત્કર્ષ દિન: આવાસ યોજનાના લોકાપર્ણ-ખાતમૂર્હતો માટે સવારે ૪૧ અને સાંજે કોરોના વોરિયર્સના સન્માન.
• ૮ ઓગસ્ટ - શહેરી જનસુખાકારીઃ પાલિકાઓને રૂ. ૧૦૦૦ કરોડના ચેકવિતરણ, અન્ય કામોના લોકાપર્ણ-ખાતમૂર્હત માટે ૮ મહાનગરો સહિત રાજ્યમાં ૪૧ કાર્યક્રમો.
• ૯ ઓગસ્ટ - વિશ્વ આદિવાસી દિવસ: ૧ લાખ કરોડની વનબંધુ યોજનાનાના ભાગ-૨નો આરંભ, બિરસા મૂંડા યુનિર્વિસટીનું ખાતમૂર્હત સાથે આદિવાસી વિસ્તારોમાં ૨૮ સ્થળે કાર્યક્રમો.