વીજળી પડવા છતાં સલામત દ્વારકાનું જગત મંદિર ૧૫૬ બોમ્બ ઝીંકાવા છતાં અડીખમ રહ્યું હતું

Thursday 22nd July 2021 03:57 EDT
 
 

દ્વારકા: દ્વારકાના વિશ્વપ્રસિદ્ધ જગતમંદિર ઉપર ૧૩ જુલાઈની સાંજે મેઘતાંડવ વચ્ચે વીજળી ત્રાટકી હોવા છતાં મંદિરની કાંકરી પણ ન ખરતા પૂરા વિશ્વમાં આ ઘટનાના વીડિયો વાયરલ થયા હતા.
બીજા દિવસે મંદિરના દ્વાર ખૂલતાં જ દ્વારકાવાસી કાળિયા ઠાકોરના જયઘોષ સાથે દર્શનાર્થે ઉમટયા હતા. લોકમુખે એક જ વાત હતી કે દ્વારકાધીશ જેની રક્ષા કરે તેનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે. આ સાથે જ વડીલોએ ૧૯૬૫માં દ્વારકા ઉપર પાકિસ્તાને ૧૫૬ બોમ્બ ઝીંકેલા તે યાદ તાજી કરતાં કહ્યું હતું કે આટલો ભીષણ બોમ્બ-મારો પણ નિષ્ફળ રહ્યો હતો.
૧૯૬૫ની સાતમી સપ્ટેમ્બરે પાકિસ્તાન નેવીના સંયુક્ત ઓપરેશનમાં મધરાતે દ્વારકાના મંદિર ઉપર બોમ્બમારો થયો હતો. ભારતીય જળસીમાએથી પાકિસ્તાનના પાંચ સમુદ્રી યુદ્ધ જહાજ પીએનએસ ટીપ સુલ્તાન, પીએનએસ શાહજહા, પીએનએસ બાબર, પીએનએસ આલમગીર, પીએનએસ બદરે માત્ર ૨૦ મિનિટમાં ૧૫૬ શક્તિશાળી બોમ્બ વરસાવ્યા હતા.
યાત્રાધામ દ્વારકામાં ૫૬ વર્ષ પહેલાં વામન જયંતીના દિવસે દ્વારકાના જગતમંદિર ઉપર રાત્રીના સમયે મેલી મુરાદથી ભીષણ બોમ્બમારો પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલો પરંતુ જગતના તારણહાર એવા ભગવાન દ્વારકાધીશે મંદિર તેમજ સમગ્ર દ્વારકા નગરીનું રક્ષણ કર્યું હતું. ત્યારથી ભગવાન દ્વારકાધીશનો આભાર માની વામન જયંતિના દિવસને વિરાટ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
૧૯૬૫ની સાલથી જ સમસ્ત ગુગળી સમાજ દ્વારા વિરાટ વિજય દિને ભગવાન દ્વારકાધીશને નુતન ધ્વજા આરોહણ કરવામાં આવે છે. તેમજ બ્રાહ્મણો દ્વારા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરાય છે.

જેના પર વીજળી પડી એ ધજાની વિશેષતા

દ્વારકાધીશ મંદિરે દરરોજ પાંચ વખત ધ્વજા બદલાય છે. મંદિર ઉપર બાવન ગજની ધ્વજા ફરકે છે. વર્ષ ૨૦૨૩ સુધી ધ્વજા ચડાવવાનું એડવાન્સ બૂકિંગ થઈ ગયું છે. અગાઉ ૧૯૯૮ અને વર્ષ ૨૦૨૦માં ધ્વજાદંડને ક્ષતિ પહોંચી. મંદિરની પૂજા ગૂગળી બ્રાહ્મણ કરે છે. ધ્વજા અબોટી બ્રાહ્મણ ચડાવે છે. ધ્વજા ચડાવવાનો યજમાન મહોત્સવ યોજે છે. ૧૨ રાશિ, ૨૭ નક્ષત્ર, ૧૦ દિશા, સૂર્ય, ચંદ્ર અને શ્રી દ્વારકાધીશ એમ બાવન ગજની ધ્વજા ધાય છે.


comments powered by Disqus