સરદાર કૃષિ એવોર્ડ વિજેતા ખેડૂત બાગાયતી ખેતી કરી વર્ષે રૂ. ૧ કરોડ કમાય છે

Thursday 22nd July 2021 04:19 EDT
 
 

પાલનપુરઃ થરાદ તાલુકાના બુઢણપુર ગામના પ્રગતિશીલ ખેડૂત અણદાભાઈ પટેલ જેઓ ૪૦ એકર જમીનમાં ખારેક, દાડમ, પપૈયા, જામફળ અને એપલ બોર જેવા બાગાયતી પોકોનું વાવેતર કરી આત્મનિર્ભર અને પગભર થયા છે. અણદાભાઈ પટેલ બાગાયતી ખેતી પર હાથ અજમાવી વર્ષે રૂ.૧ કરોડની માતબર આવક મેળવી રહ્યાં છે. સરદાર કૃષિ એવોર્ડ વિજેતા ખેડૂત અણદાભાઈ પટેલએ જણાવ્યું હતું કે, બાગાયતી ખેતી કઇ રીતે તેનું માર્ગદર્શન કૃષિ મહોત્સવના કૃષિ રથ દ્વારા મળી હતી.
હાલ અણદાભાઈ પટેલ ખારેકનું વાવેતર કરી રહ્યા છે. ખારેકના વાવતેર બાદ ત્રીજા વર્ષથી ખારેક આવવાની શરૂ થઈ જાય છે અને ત્રીજા વર્ષે ૩૦૦ ખારેકના છોડમાંથી રૂ.૯ લાખની આવક થઈ હતી. ચોથા વર્ષે ખારેકનુ ઉત્પાદન રૂ.૧૫ લાખનું થયું હતું. તેમજ આ વર્ષે ખારેકના ૧ છોડ પર ૧૨૦ કિ.ગ્રા.ખારેક છે જેથી ૩૬,૦૦૦ કિ.ગ્રા. ખારેક છે. વર્તમાન સમયમાં ખારેકના ભાવ ૬૦ થી ૮૦ વચ્ચે છે એટલે ૨૦થી ૨૫ લાખ રૂપિયાની ખારેક થવાનો અંદાજ છે. અમે આંતર પાક તરીકે એપલ બોરની વાવણી કરીએ છીએ. જેનાથી વર્ષે રૂ.૪થી ૫ લાખની આવક થાય છે. આ ઉપરાંત દાડમ, પપૈયા, જામફળની ખેતી કરી વર્ષે રૂ. ૧ કરોડની આવક મેળવી રહ્યા છીએ.


comments powered by Disqus