સુરતઃ કોરોના કાળને લીધે લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. જીવનશૈલીમાં બદલાવની સાથે પર્યાવરણની દ્રષ્ટિએ લોકો જાગૃત થઈ રહ્યા છે. ત્યારે સુરતવાસીઓ હવે પોતાના ટેરેસ પર વિવિધ પ્રકારના શાકભાજી ઉગાડીને આરોગ્યપ્રદ આહાર પણ મેળવી રહ્યા છે. ઘરની અંદર હર્યોભર્યો ગાર્ડન પરિવારને તંદુરસ્તીની સાથે ઓર્ગેનિક આહાર પ્રદાન કરે છે. બજારમાં મળતા શાકભાજી મોટેભાગે રસાયણયુકત ખાતરોથી ઉત્પાદિત કરવામાં આવે છે. ઘરઆંગણે ઉગાડવામાં આવેલા શાકભાજીનો સ્વાદ કંઈક અલગ પ્રકારનો હોય છે.
છેલ્લા ઘણા વર્ષોથી ટેરેસ પર શાકભાજીની ખેતી કરતા ભટાર વિસ્તારના અનુપમાબહેન કહે છે કે, ઘરની અગાસી પર ઉગાડેલા શાકભાજીને ઉપયોગમાં લઈ શકો છો. મારા ઘરની આગાસી પર કારેલા, કંટોલા, મેથીની ભાજી, ફૂદીનો, તુલસી, સક્કરટેટી, સીતાફળ, શેતુર, ટામેટા, લાલ ભીંડા, શક્કરીયા, નાગરવેલ જેવા છોડ ઉછેરીને ત્રણ ટાઇમનું શાકભાજી મેળવું છું. નવસારી કૃષિ યુનિ.ના સુરતના પનાસ ખાતે કાર્યરત કે.વી.કે. દ્વારા બહેનોને કિચન ગાર્ડનિંગની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ લીધા બાદ ખ્યાલ આવ્યો કે, કઈ સિઝનમાં કયા છોડને કેવી રીતે ઉગાડી શકાય. દવાથી લઈને ઉછેર સુધીની તમામ માહિતી આ તાલીમ દ્વારા મળી છે. બાદ ઘરની અગાસી પર અનેક પ્રકારના શાકભાજી, ફળાઉ વૃક્ષોનું વાવેતર કરતી થઈ છું. ટેરેસ ગાર્ડનનો એક મોટો ફાયદો એ છે કે તમને કીટાણુંમુક્ત, પ્રદૂષણમુક્ત સ્વાસ્થ્યવર્ધક શાકભાજી ઘરઆંગણે મળી રહે છે. હાલ સુરત શહેરમાં ૧૨૦૦થી વધુ લોકો ટેરેસ ગાર્ડનની ખેતી કરીને શુદ્ધ અને સાત્વિક શાકભાજી મેળવી રહ્યા છે.