અમદાવાદઃ બીજી લહેરમાં કોરોનાના વધુ કેસોમાં ગુજરાતમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસો જોવા મળ્યા હતા. અત્યાર સુધીમાં દેશનાં અનેક શહેરોની સુએજ લાઈનમાં જીવિત કોરોના વાયરસ મળવાની પુષ્ટિ થઈ ચૂકી છે, પરંતુ હવે પાણીમાં પણ કોરોના વાયરસ હોવાની પુષ્ટિ થઈ છે. અમદાવાદની સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવમાંથી કોરોના વાયરસ મળ્યા છે. ત્રણેય પાણીનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં અને તમામ સેમ્પલ્સ સંક્રમિત જણાયાં છે. ચાર મહિનામાં ૧૬ જેટલાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, જેમાં ૫ જેટલાં સેમ્પલ પોઝિટિવ જણાયા હતા.
IIT ગાંધીનગર સહિત દેશની ૮ સંસ્થાએ સાથે મળીને આ અભ્યાસ કર્યો હતો. સુએજ સેમ્પલ લઈને કરવામાં આવેલી તપાસ દરમિયાન કોરોના વાયરસની ઉપસ્થિતિ અંગે જાણ થઈ હતી. આ અભ્યાસ બાદ પ્રાકૃતિક જળ સ્ત્રોત અંગે તપાસ કરવા ફરી અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં સૌથી વધારે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને ગુવાહાટીમાં એકપણ પ્લાન્ટ નથી માટે આ બંને શહેરોની પસંદગી કરીને સેમ્પલિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
સાબરમતી રિવરફ્રન્ટમાં વચ્ચે જઇને લીધેલા પાણીના સેમ્પલમાં પણ નિયત માત્રા કરતાં વધુ પ્રદૂષણ જણાતાં રિવરફ્રન્ટ પણ પ્રદૂષિત ગંદા પાણીથી ભરેલા હોજ સમાન છે. રિવરફ્રન્ટ પછીની સાબરમતીમાં જે પાણી દેખાય છે એ માત્ર નરોડા, ઓઢવ, વટવા અને નારોલના ઉદ્યોગોનો પ્રદૂષિત પ્રવાહી કચરો (એફ્લ્યુએન્ટ) અને અમદાવાદની ગટરનું ગંદુ પાણી જ વહે છે. રિવરફ્રન્ટ બનવાને કારણે ભૂગર્ભ જળમાં આ પાણી ઊતરતું બંધ થયું માટે અમદાવાદને નર્મદાના પાણી પર જ આશ્રિત રહેવું પડે એવી સ્થિતિ સર્જાઇ ગઇ છે.ો