અમિત શાહની નીતિન પટેલ-રૂપાણી સાથે બંધ બારણે બેઠક, સીઆરને હાજર ન રાખ્યા

Wednesday 23rd June 2021 08:19 EDT
 

અમદાવાદ: અમદાવાદમાં બ્રીજના લોકાર્પણ કે રસીકરણ અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન અમિત શાહ બે દિવસ આવીને રોકાય તે વાત ખૂબ ગળે ઉતરે તેવી નથી, તેવું જણાવતાં ભાજપના એક મોટા નેતા કહે છે કે અમિત શાહે નીતિન પટેલને સતત સાથે રાખ્યા અને બન્નેએ એક જ ગાડીમાં મુસાફરી કરી. જ્યારે મુખ્યપ્રધાન ઉપરાંત પોતાના ખાસ ગણાતાં નેતા હોવા છતાં વિજય રૂપાણી અમિતશાહ સાથે અમુક પ્રસંગોએ જ દેખાતા. ભાજપના ચાણક્ય અમિત શાહ અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ એક જ ગાડીમાં સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોતાના કાફલા સાથે પહોંચ્યા હતા. જ્યાં અમિત શાહે મુખ્યપ્રધાન રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન સાથે બંધ બારણે એક કલાક સુધી બેઠક કરી હતી. આ સાથે જ રાજકીય હલચલ શરૂ થઈ ગઈ અને આ બેઠકને લઈ રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યા છે. ઉપરાંત અમિત શાહે રાજભવનમાં નીતિન પટેલની સંગાથે જ રાજ્યપાલ સાથે ભોજન લીધું. રૂપાણી આ સ્થળેથી માંડ ત્રણસો મીટર દૂર પોતાના બંગલે હતા. છતાં તેઓ ત્યાં આવ્યા નહીં. આ બાબત ઘણી બધી બાબતો સૂચવી જાય છે, તેવું ભાજપના નેતા કહે છે.
દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે તેઓ પોતાના પ્રધાનમંડળનું વિસ્તરણ નહીં કરે. એટલું જ નહીં તેમણે બોર્ડ નિગમોમાં નિમણૂકો કરવાની વાત પણ સોય ઝાટકીને નકારી કાઢી.


comments powered by Disqus