ગઢડા મંદિરના આચાર્ય પક્ષના સંતોના તડીપારીના હુકમ પર હાઈકોર્ટનો સ્ટે

Wednesday 23rd June 2021 06:47 EDT
 
 

ગઢડા: ગઢડા (સ્વામિના) ગોપીનાથજી દેવ મંદિરના આચાર્ય પક્ષના ૨ સાધુઓને તડીપાર કરવાના હુકમનો મુદ્દો હાઈકોર્ટમાં પડકારતા આ તડીપાર હુકમને હાઈકોર્ટે સ્ટે કરતા આચાર્ય પક્ષના સમર્થકો માં આનંદની લહેર ઉઠવા પામેલ છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના મહત્વપૂર્ણ સ્થાન અને વડતાલ તાબાના ગોપીનાથજી દેવ મંદિરમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષના વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. દરમિયાન આચાર્ય પક્ષ ના ૨ સાધુઓ પૂર્વ કોઠારી ઘનશ્યામવલ્લભદાસજી તથા પૂર્વ બોર્ડ સલાહકાર એસ.પી. સ્વામી સામે કેટલાક પોલીસ કેસ બાબતે તહોમતનામું ઘડી તડીપાર માટે નોટીસ ઇસ્યુ કરી મુદતના અંતે બન્ને સાધુઓને ૨ વર્ષ માટે અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને રાજકોટ એમ ૬ જીલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ બોટાદ તરફથી કરી નાખવામાં આવતા સ્થાનિક પોલિસ દ્વારા આ હુકમની બજવણી કરવામાં આવેલ. આ હુકમ સામે જુદા જુદા સમાજ તથા વેપારી મંડળે વિરોધ દર્શાવી સાધુઓ સામેના આરોપ પરત ખેંચવા માંગણી કરી. પરંતુ સમગ્ર પ્રકરણે સાધુઓ તરફથી ન્યાયના હિત માટે નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી.
આ પિટિશન બાદ સિંગલ જજ પરેશ ઉપાધ્યાયની બેચમાં આ તડીપાર હુકમને સ્ટે કરતો હુકમ કરવામાં આવ્યો હતો.આ તડીપાર હુકમ સ્ટે થવાથી આચાર્ય પક્ષ ના સમર્થકોમાં આનંદની લહેર ઉઠવા પામી હતી.


comments powered by Disqus