ગાંધીનગરઃ ૯ જૂને ૨૬ સિનિયર IASની ટ્રાન્સફર કર્યા બાદ રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ- GADએ જિલ્લા વિકાસ અધિકારી- DDOથી અગ્રસચિવ સુધીના ૭૭ ઓફિસરોની બદલીના આદેશો બહાર પાડયા હતા. ૧૪-૧૫ મહિના પછી ડિસેમ્બર- ૨૦૨૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી નિશ્ચિત છે. આ સંજોગોમાં ત્રણ વર્ષથી એક જ સ્થળે પોસ્ટિંગના નિયમો અને ચૂંટણીની પૂર્વ તૈયારીને ધ્યાનમાં રાખીને સરકારે વહિવટીતંત્રમાં ધરમૂળથી બદલાવ કર્યો છે.
૪ અગ્રસચિવ અને સચિવો, નગર પાલિકાઓના ૬ રિજિયોનલ કમિશનરો, ૩ મ્યુ.કમિશનર, ૨૩ કલેક્ટર અને ૨૨ DDOની બદલીઓ કરાઈ હતી. રાજકોટના કલેક્ટર રહેલા રૈમ્યા મોહનને આરોગ્ય વિભાગના તાબા હેઠળ પોસ્ટિંગ મળ્યુ છે. નવસારીમાં કલેક્ટર આર્દ્રા અગ્રવાલને મહેસૂલ વિભાગમાં પોસ્ટિંગ મળ્યુ છે. આ બેઉ ઓફિસરો વર્ષ ૨૦૦૭ની બેચના છે. આ બેચના ૧૧ ઓફિસરો પૈકી સચિવાલયમાં પોસ્ટિંગ મેળવનાર પણ આ બેઉ ડાયરેક્ટ IAS છે !