અમદાવાદઃ આગામી પહેલી જુલાઈના શુભ દિવસે ગુજરાતી અખબારી પત્રકારત્વ બસોમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. પહેલી જુલાઈ, ૧૮૨૨ના રોજ મોબેદ ફરદુનજી મર્ઝબાનજીએ ‘મુંબઈ સમાચાર’નો પ્રારંભ કર્યો હતો. આમ એક વખત શરૂ થયા પછી, અવિરત ચાલુ હોય તેવું માત્ર ભારતનું જ નહીં, સમગ્ર એશિયા ખંડનું અખબાર ‘મુંબઈ સમાચાર’ છે. ગુજરાતી અખબારી પત્રકારત્વ બે સદી પૂરી કરે છે એ ઘટના ઐતિહાસિક છે તેમ સીમાચિહ્નરૂપ છે. ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને ગુજરાત પ્રદેશ માટે આ ગૌરવ અને આનંદની ઘડી છે. આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી કરવાના હેતુથી ગુજરાતી અખબારી પત્રકારત્વ દ્વિશતાબ્દિ મહોત્સવ સમિતિની રચના કરાઇ છે. જન્મભૂમિ ગ્રૂપના તંત્રી શ્રી કુંદન વ્યાસના અધ્યક્ષપદે રચાયેલી આ સમિતિના સંયોજક તરીકે જાણીતા પત્રકાર-લેખક શ્રી રમેશ તન્ના કાર્યભાર સંભાળશે. આ સમિતિમાં દરિયાપારના દેશોમાંથી એકમાત્ર ‘ગુજરાત સમાચાર’ના પ્રકાશક-તંત્રી શ્રી સી.બી. પટેલનો સમાવેશ કરાયો છે, જે બ્રિટિશ ગુજરાતી સમુદાય માટે આનંદ અને ગૌરવની બાબત છે. સમિતિ દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમો દ્વારા ગુજરાતી અખબારી પત્રકારત્વની દ્વિશતાબ્દી ઉજવાશે.
૨૦૦ વર્ષનું ગુજરાતી અખબારી પત્રકારત્વ ભવ્ય અને દિવ્ય છે. તેમાં જુસ્સો છે, ખમીર છે અને પત્રકારત્વ માટેની ખુવારી પણ છે. ફરદુનજી મર્ઝબાનજીથી વાસુદેવ મહેતા સુધી એક-એકથી ચડિયાતા સંપાદકો અને તંત્રીઓ ગુજરાતી ભાષાને મળ્યા છે. ગુજરાતી પત્રકારત્વ રંગીન અને સંગીન છે. તેમાં ઘીના દીવાનો ઉજાસ છે તો મશાલની ભળભળતી જ્યોત પણ છે. તેમાં પ્રતિબદ્ધતા, નિસબત અને પ્રતિભાનો ઝળહળ પ્રકાશ પણ છે. ગુજરાતી ભાષકોને ભારોભાર ગૌરવ થાય તેવા છે ગુજરાતી અખબારોના પૂર્વસૂરિઓ. દરેકની છાતી ગજ ગજ ફૂલે તેવા છે ગુજરાતી અખબારી ક્ષેત્રના પૂર્વજો. તેમના પરાક્રમોસમા પત્રકારત્વને વાગોળીને તેમાંથી શક્ય તેટલી પ્રેરણા લેવાનો આ રળિયામણો અવસર છે.
ગુજરાતી અખબારી વિશ્વમાંથી ૩૩ જેટલા તંત્રીઓ-સંપાદકો તથા પ્રતિષ્ઠિત કોલમલેખકો આ સમિતિમાં પરામર્શક તરીકે પોતાની સજ્જતા અને અનુભવનો લાભ આપશે. કોરોના ઓસરી જાય એ પછી. યોગ્ય સમયે ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી વિજય રૂપાણીના વરદ હસ્તે આ સમિતિના નેજા હેઠળ ‘મુંબઈ સમાચાર’નું ભવ્ય સન્માન કરવાનો કાર્યક્રમ ગોઠવાશે.
લગ્નનાં ગીત લગ્નના દિવસે તો ગાવાં જ જોઈએ, એ ન્યાયે પહેલી જુલાઈના રોજ સમિતિ તરફથી ‘મુંબઈ સમાચારઃ ફરદુનજી મર્ઝબાનની પરાક્રમી પહેલ’ વિષય પર વેબિનારનું આયોજન કરાયું છે. આ વર્ચ્યુઅલ સેમિનારમાં ગુજરાતના મુખ્ય પ્રધાનનો પ્રાસંગિક સંદેશ વીડિયો દ્વારા રજૂ થાય કરાશે.
સમિતિ દ્વારા આખા વર્ષ દરમિયાન જુદા જુદા કાર્યક્રમો યોજાશે. બે સદીનું ગુજરાતી અખબારી પત્રકારત્વ એ વિષય પર એક સંપાદિત ગ્રંથનું પ્રકાશન કરવાનું પણ આયોજન છે. આ ગ્રંથમાં ૨૦૦ વર્ષના ગુજરાતી અખબારી પત્રકારત્વના પડાવો અને મૂકામો આવી જાય તે રીતે સંપાદન-આલેખન કરાશે. વર્ષ દરમિયાન ગુજરાતની તમામ પત્રકારત્વની સંસ્થાઓના વિદ્યાર્થીઓ માટે નિબંધલેખન સહિતની સ્પર્ધાઓ યોજાશે, જેથી નવી પેઢીને ૨૦૦ વર્ષના ગુજરાતી પત્રકારત્વનો પરિચય થાય. આ ઉપરાંત મુંબઈ, અમદાવાદ, સુરત, રાજકોટ, ભૂજ, આણંદ તેમજ લંડનમાં વર્ષ દરમિયાન પરિસંવાદ યોજવા માટે આયોજન થઇ રહ્યું છે.
દ્વિશતાબ્દિ મહોત્સવ સમિતિ
• પ્રમુખઃ કુંદન વ્યાસ (ગ્રુપ એડિટરઃ જન્મભૂમિ ગ્રુપ) • સંયોજકઃ રમેશ તન્ના
પરામર્શન સમિતિઃ • નિલેશ દવે (મુંબઈ સમાચાર) • ભવેન કચ્છી (ગુજરાત સમાચાર)
• દેવેન્દ્ર પટેલ (સંદેશ) • મનીષ મહેતા (દિવ્ય ભાસ્કર) • દીપક માંકડ (કચ્છ મિત્ર) • કાૈશિક મહેતા (ફૂલછાબ) • જશવંત રાવલ (નયા પડકાર) • બકુલ ટેલર (ગુજરાત મિત્ર)
• ભિખેશ ભટ્ટ (વરિષ્ઠ સંપાદક અને તંત્રી)
• અજય ઉમટ (નવગુજરાત સમય) • અનિલ દેવપુરકર (લોકસત્તા-જનસત્તા) • હિરેન મહેતા (ચિત્રલેખા) • સી.બી.પટેલ (ગુજરાત સમાચાર-લંડન) • તરુણ દત્તાણી (અભિયાન) • પુલક ત્રિવેદી (સચિવ-ગુજરાત પ્રેસ અકાદમી) • શિરીષ કાશિકર (વડા, NIMCJ અમદાવાદ) • કુમારપાળ દેસાઈ (વરિષ્ઠ કટારલેખક, તંત્રી, બુદ્ધિપ્રકાશ)
• પ્રવીણ ક. લહેરી (વરિષ્ઠ કટારલેખક) • કીર્તિ ખત્રી (વરિષ્ઠ કટારલેખક) • જયંતિ દવે (વરિષ્ઠ કટારલેખક) • નગેન્દ્ર વિજય (વરિષ્ઠ તંત્રી-કટારલેખક) • હેમરાજભાઈ શાહ (વરિષ્ઠ કટારલેખક) • કિરીટ ખમાર (મહાગુજરાત)
• નિમિષ ગણાત્રા (અકિલા) • અઝીઝ ટંકારવી (ગુજરાત ટુડે) • બીનાબહેન કાઝી (ગુજરાત મિત્ર-સુરત) • વર્ષાબહેન અડાલજા (વરિષ્ઠ લેખિકા) • તરુબહેન કજારિયા (વરિષ્ઠ લેખિકા) • મીરાં ત્રિવેદી (દિવ્ય ભાસ્કર) • ઝવેરીલાલ મહેતા (તસવીરકાર) • ભાટી.એન (તસવીરકાર) • અંબુભાઈ પટેલ (સંવાદદાતા)
• દિલીપ દવે (ચિત્રકાર-કાર્ટુનિસ્ટ-ડિઝાઈનર)