જામનગર: અહીંની જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગના એટેન્ડન્ટ પરના યૌન શોષણનો મામલો સમગ્ર ગુજરાતમાં ગરમાયો છે. આ અંગે ત્રણ સભ્યની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. એચ.આર. મેનેજર સહિત છની ટોળકીએ એક બે નહી પણ ૬૦થી વધુ એટેન્ડન્ટનો ભોગ લીધાનો આક્ષેપ થયો છે. શારીરિક શોષણ માટે સરૂ સેકસન રોડ પરના આવાસના ફલેટનો ઉપયોગ કરાતો હોવાનો પણ આરોપ મૂકાયો છે. બીજી તરફ આ પ્રકરણમાં કોઇપણ વ્યકિત સામે કડક કાર્યવાહી કરાશે તેમ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ત્યારે ડીન દ્વારા પોતાના ધ્યાને આવી કોઇ ઘટના આવી ન હોવાનો બચાવ કરવામાં આવી રહ્યો છે.
જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગના એટેન્ડન્ટ માટે પસંદ થયેલી યુવતીઓને નોકરી સલામત રાખવાની ચીમકી આપીને શિકાર બનાવવામાં આવતી હતી. આ મામલો સામે આવતા રાજ્ય સરકાર ત્વરીત એકશનમાં આવી છે. આ ઉપરાંત મહિલા આયોગ પણ મેદાનમાં આવ્યું છે. રાજ્ય સરકારે સમિતિ બનાવીને તપાસ કરવાના આદેશ કર્યા છે.