વલ્લભ વિદ્યાનગરઃ આણંદ જિલ્લાના તારાપુરથી વટામણ તરફ જતા હાઇવે પર આવેલા ઇન્દ્રણજ ગામ પાસે ઇકો કાર સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ઈકો કારમાં મુસાફરી કરી રહેલા એક જ પરિવારના ૯ સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા.
તારાપુરથી વટામણના રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર ઇન્દ્રણજ ગામ નજીક મોરબીથી વાયા વટામણ થઇને તારાપુર ચોકડી તરફ જઇ રહેલી ટ્રકના ડ્રાઇવરને ઝોકું આવી જતાં તેણે સ્ટિયરિંગ ઉપરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેથી ટ્રક રોંગસાઇડે પુરઝડપે આવતી સુરતથી ભાવનગરના વરતેજ ગામે પરત ફરી રહેલા અજમેરી પરિવારની ઇકો ગાડીને તીવ્ર ટક્કર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આસપાસમાં રહેતા લોકોએ દોડી આવીને બચાવ-રાહતની કામગીરી હાથ ધરી હતી. પોલીસે પ્રારંભિક તપાસ હાથ ધરીને તબક્કાવાર મૃતદેહોને બહાર કાઢીને શહેરની રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. ટ્રક ડ્રાઇવર સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
દરમિયાન અકસ્માતના સમાચાર મળતાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી દરેક મૃતકના પરિજનોને બે લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. આ જ રીતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ પ્રત્યેક મૃતકના પરિવારને બે લાખનું વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી.
અકસ્માતના ૧૨ કલાક પહેલાં ઉતારેલો વીડિયો વાઇરલ
‘ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે’ જેવો ઘાટ અજમેરી પરિવાર સાથે થયો હતો. જલગાંવમાં લગ્નપ્રસંગ આટોપીને વરતેજ જઈ રહેલા પરિવારને ખબર નહોતી કે હવે તેઓ ક્યારેય ઘરે પરત ફરવાના નથી. અકસ્માતના ૧૨ કલાક પહેલાં ડ્રાઈવર સિરાજભાઈએ ચાલુ કારે ઉતારેલા વીડિયોમાં તમામ સભ્યો આનંદમાં હોવાનું જણાય છે.
ટ્રકચાલકે ટક્કર માર્યા પછી કારને ૨૫ ફૂટ સુધી ઢસડી
ટ્રક ચાલક કાબૂ ગુમાવતાં રોંગ સાઇડે ઇકો કારને અડફેટમાં લઇ ૨૦ ફુટ દૂર ખેંચી જતાં કારના ફુરચેફુરચા નીકળી ગયા હતા. સૌ પ્રથમ કારમાં ફ્સાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ છેવટે ક્રેઇનની મદદથી કારને બહાર કાઢી, મેટલને કાપી મૃતદેહ કાઢવામાં આવ્યા હતા.