અમરેલીઃ પોલીસને ક્યારેય ખૂંખાર ગુનેગારોને પકડવામા તકલીફ નહીં પડી હોય તેવી તકલીફ દીવમાં નશો કરવા ગયેલા લોકોને પકડવામાં પડી હતી. દીવથી ભાવનગર જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસમાં નશો કરેલી હાલતમાં સવાર લોકોએ અમરેલી જિલ્લાના ૩૫ કિમી વિસ્તારમાં આતંક મચાવતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. બસમાં નશો કરી સવાર થયેલા ૩૧ લોકોએ રસ્તામાં પથ્થરો અને બોટલોના ઘા કરતા ગ્રામ્ય વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી. હાલ પોલીસે તમામને ઝડપી પાડ્યા હતા.
દીવથી ભાવનગર ૩૧ મુસાફરો સાથે જઈ રહેલી આશાપુરા ટ્રાવેલ્સની બસમાં સવાર મુસાફરોએ અમરેલીના જાફરાબાદના નાગેશ્રી પાસે આવેલા ટોલનાકા પરથી આતંક મચાવવાની શરૂઆત કરી હતી. અહીં ટોલનાકાના કર્મચારીઓ સાથે બબાલ કરી ભાગતા નાગેશ્રી પોલીસ તેને પકડવા પાછળ પડી હતી. પરંતુ, બસમાં નશો કરી સવાર થયેલા મુસાફરો ઉભા રહેવાના બદલે ચાલુ બસે પથ્થરો અને બોટલો ફેકવાની શરૂઆત કરી હતી. જેમાં નિર્દોષ રાહદારીઓ ભોગ બન્યા હતા. બસને રોકવા માટે વિસળીયા ગામ પાસે પોલીસ અને સ્થાનિક ગ્રામજનોએ રસ્તાની વચ્ચે વાહનો મુકી કોર્ડન કરી લીધો હતો. જેથી બસ ચાલક અહીંથી આગળ જઈ શક્યો ન હતો. પોલીસે બસને આંતરી તમામને ઝડપી પાડ્યા હતા. બસની તલાશી લેતા દારૂ અને બીયરનો જથ્થો પણ મળી આવ્યો હતો.પોલીસે આરોપીઓ સામે પીપાવાવ પોલીસ સ્ટેશન અને નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો.