મોરબી: ભવાઇનાં ભોમિયા તરીકે ખ્યાતનામ ભીખુભાઇ વ્યાસનું નિધન થતાં ભવાઇ કલાનો ચમકતો સિતારો ખરી પડ્યો છે. મોરબીનાં માળિયા તાબાનાં સરવડ ગામમાં તેમજ કલા જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ભીખુભાઇ વ્યાસને વારસમાં જ ભવાઇના ગુણ વરેલા હોય, બાળપણથી જ ભવાઇ પ્રત્યેના અપાર શોખ અને લગાવ હોય, તેમજ પિતા દેવશંકરભાઇ, કાકા મણિલાલભાઇ તેમજ દાદા હીરજીભાઇ અને કેશવજીભાઇના કલાના ગુણો જન્મજાત વારસામાં મળેલ હતાં. મણિભાઇનો ઉચ્ચ તાલીમ અને એક ઉચ્ચ કોટીના કલાકાર હીરજી કેશવજી સરવડ ભવાઇ મંડળના નાયક ભીખુભાઇનું અવસાન થતાં કલા જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેઓ દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત હતા. લગભગ આશરે ૧૧૩ વર્ષ જૂની લોક ભવાઇ, નાટ્ય સંસ્થા હીરજી કેશવજી સરવડ ભવાઇ મંડળમાં જોડાયેલા હતાં. આ સંસ્થા એ દેશ વિદેશમાંથી અનેક એવોર્ડ સન્માન પ્રાપ્ત કરેલ છે. ભીખુભાઇનું મુખ્યપ્રધાન તેમજ અનેક સંસ્થાઓના વડા, સંતો, મહંતો, ઉદ્યોગપતિઓ તેમજ અગ્રગણ્ય રાજકીય મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. ભીખુભાઇ વ્યાસ સ્ત્રી પાઠ તેમજ પુરુષ પાઠના ઉત્તમ ક્લાકાર, એક સારા ગાયક હોવાની સાથે હોર્મોનિયમ, તબલા, પખવાઝ, અને સંગીતના તમામ વાર્જિંત્રોમાં પણ સારું એવુ પ્રભૂત્વ ધરાવતાં હતાં. લોકભવાઇની જૂની કલા છત્તર મોતીના નખતામાં ભીખુભાઇ માસ્ટરી ધરાવતા હતાં.