રાજકોટઃ શહેરમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર નાણાવટી ચોક પાસે આવેલા દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં પથારીવશ વયોવૃદ્ધ માતાને ચોથા માળેથી નીચે ફેંકી દઈ મોતને ઘાટ ઉતારનાર પ્રોફેસર પુત્રને અદાલતે હત્યાના ગુનામાં દોષિત જાહેર કરતો હુકમ ફરમાવ્યો છે. જનેતાની હત્યાના ગુનામાં આરોપી પ્રોફેસર પુત્રને કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી છે.
શહેરના ૧૫૦ રીંગ રોડ પરના દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતાં નિવૃત શિક્ષિકા જયશ્રીબેન નથવાણી વહેલી સવારે એપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કની પરથી પડી ગયાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પૂછતાછ દરમિયાન મૃતક જયશ્રીબેન નથવાણીના પુત્ર સંદિપ નથવાણીએ પોતાની માતા અગાસી પરથી અકસ્માતે નીચે પટકાતા મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. જો કે પ્રોફેસર પુત્રએ વૃધ્ધ-બિમાર માતાને એપાર્ટમેન્ટના ચોથા માળની અગાસી પરથી ગબડાવી મોતને ઘાટ ઉતારી દીધા છે અને આ ઘટનાને આકસ્મિક ઘટના ખપાવવા સ્ટોરી ઉભી કરી હોવાની પોલીસમાં નનામી અરજી થઈ હતી. જેના આધારે તપાસ હાથ ધરતા સામે આવેલા CCTV ફૂટેજે સંદીપના ફીટકાર વરસાવતા કૃત્યનો ભાંડો ફોડ્યો હતો અને ઘટના આકસ્મિક કે આપઘાતની નહિ પણ હત્યાની હોવાનું ફલીત થઇ ગયું હતું. નેતાને મોતને ઘાટ ઉતારનાર પ્રોફેસર સંદિપ નથવાણીની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, મારા માતા સતત બિમાર અને પથારીવશ હોઇ તેની સેવા ચાકરી માટે મારે અને પત્નીને માથાકુટ થતી હતી. હું કોલેજ હોઉ ત્યારે પણ પત્નિનાં ફોન આવતાં કે બા માથાકુટ કરે છે.
સતત આવી લપ થતી અને બા કચ-કચ કરતાં હોઇ જેથી હું કંટાળી ગયો હતો. જેથી મેં રોજની લપમાંથી છૂટકારો મેળવવા માતાને અગાસી પર વોકિંગ કરાવવા લઈ ગયો હતો. માતાને ઠંડા કલેજે ચોથા માળેથી નીચે ફેંકી દઈ
હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.