અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થતાંની સાથે જ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. છેલ્લા સપ્તાહમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ ૩૨.૮૩ એમએમ વરસાદ પડ્યો છે, જે સરેરાશ ૩.૯૧ ટકા જેટલો થવા જાય છે. એકમાત્ર કચ્છ ઝોનમાં સામાન્ય વરસાદને બાદ કરતાં ઉત્તર ગુજરાત ઝોનમાં સરેરાશ ૩.૪૦ ટકા, મધ્યપૂર્વ ઝોનમાં ૩.૯૬ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૩.૦૧ ટકા, જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ ૪.૮૬ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
અમદાવાદના શહેરના હાટકેશ્વર, સીટીએમ, વસ્ત્રાલ, રામોલ, ઘોડાસર, નિકોલ, બાપુનગર, અમરાઈવાડી, ઓઢવ, જશોદાનગર, વટવા, નારોલમા ધીમી ધારે વરસાદ પડ્યો હતો. ૨૨ જૂનની સ્થિતિએ ૧૨૫ તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ ૩.૪ ઈંચ વરસાદ સુરતના ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે. ત્યાર બાદ ભરૂચ, ભાવનગર, મહીસાગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જિલ્લામાં ૧થી ૪ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ૧૮મી જૂનના રોજ આણંદમાં માત્ર ૪ કલાકમાં ૭ ઈંચ કરતાં પણ વધુ વરસાદ સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી.
ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને સિદ્વપુરમાં, પાલનપુર, વડગામ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો. સિદ્વપુરમાં ૪ કલાકમાં ૫ ઇંચ વરસાદ અને પાલનપુરમાં સાડા ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. પંચમહાલ વિસ્તારમાં પણ અઢી ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. જામનગરના વસઈમાં દે..ધનાધન પાંચ ઈંચ જેટલો વરસાદ વરસી પડયો હતો. જ્યારે લાલપુરના પડાણામાં પોણા ચાર ઈંચ જળવર્ષા થઈ હતી. તદુપરાંત રાજકોટમાં બે ઈંચ સહિત મોરબી, જૂનાગઢ પંથક, તાલાલા ગીરમાં પણ વાવણીલાયક વરસાદ થયો હતો. ભીમ અગિયારસની પૂર્વ સંધ્યાએ આવેલા સમયસરના વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા અને ખેતરોમાં કંકુ-ચોખા, અબિલ-ગલાલ પધરાવી શાસ્ત્રોક્ત વિધિથી વાવણીના શ્રીગણેશ કર્યા હતા.
હવામાન વિભાગ દ્વારા આવનાર દિવસોમાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.
સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે ઝાપટાંથી લઇને હળવો વરસાદ પડ્યો હતો, જેને કારણે રાજ્યનાં મોટા ભાગનાં શહેરોનું તાપમાન ૩૬ ડીગ્રીથી નીચે નોંધાયું હતું.