નવીદિલ્હી: અયોધ્યામાં રામમંદિર માટેની જમીનમાં ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા જમીનના સોદા અંગે સ્ટેટમેન્ટ તેમજ એગ્રીમેન્ટની વિગતો જાહેર કરવામાં આવી હતી. ટ્રસ્ટે કહ્યું હતું કે, આ સોદામાં ૯ લોકો સંકળાયેલા હતા તેમની સાથે વાતચીત કરીને તેમની મંજૂરી પછી પારદર્શક રીતે સોદો કરાયો છે. તમામ નાણાકીય વ્યવહારો બેન્ક દ્વારા રેકોર્ડ પર કરાયા છે. આ જમીન ઘણા સમયથી ખરીદવા માગતું હતું પણ અગાઉના તમામ કરારની માલિકીના ટાઈટલ ક્લિયર થાય પછી તે ખરીદવાનું નક્કી કરાયું હતું. છેલ્લા ૧૦ વર્ષમાં ૩ વખત જમીનનો સોદા થયો હતો જેમાં ૯ પૈકી ૩ મુસ્લિમો હતા. તમામની મંજૂરી પછી અંતિમ સોદો કરાયો હતો. ટ્રસ્ટે આ ઉપરાંત મંદિર અને આશ્રમો સહિત ૩થી ૪ પ્લોટ પણ ખરીદ્યા છે. જેમને પુનઃવસન માટે ફંડ આપવામાં આવશે. જમીન વિવાદ મામલે યુપીના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા અયોધ્યાના ડીએમ તેમજ કમિશનર પાસે રિપોર્ટ માગવામાં આવ્યો હતો. અયોધ્યામાં રામમંદિર ટ્રસ્ટ દ્વારા રૂ. ૨ કરોડની જમીન રૂ. ૧૮ કરોડમાં ખરીદીને કૌભાંડ આચરવાના આક્ષેપો કરાઈ રહ્યા છે ત્યારે ટ્ર્સ્ટે આ જમીન શા માટે રૂ. ૧૮ કરોડમાં ખરીદાઈ તેનો રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલી આપ્યો છે. ટ્ર્સ્ટે વિપક્ષો દ્વારા ટ્રસ્ટને બદનામ કરવા રાજકીય કાવતરું ઘડવામાં આવ્યું હોવાના આક્ષેપો કરાયા છે.
રામ જન્મભૂમિ ટ્રસ્ટના બે સભ્યોએ જમીન સોદા સામે વાંધો દર્શાવ્યો છે. ટ્રસ્ટી અનિલ મિશ્રાની ભૂમિકા સામે શંકા દર્શાવાઈ છે. જમીન સોદામાં અનિલ મિશ્રા સાક્ષી રહ્યા છે. ટ્ર્સ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસજીના ઉત્તરાધિકારી કમલનયન દાસે કહ્યું હતું કે, ટ્રસ્ટ જે નિર્ણયો લે છે તેની જાણ કરાતી નથી.