આણંદઃ લંડન સ્થાયી થયેલા મહિલાનું બાકરોલ ખાતેરૂ. ૫૭.૫૬ લાખનું મકાન આવેલું છે. ઓડના શખ્સે મદદ કરવાના બહાને પાવર ઓફ એટર્ની લખાવી બાકરોલનું મકાન વેચી દીધું હતું. આ અંગે મહિલાએ છેતરપિંડીની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.
બાકરોલના વતની પન્નાબહેન હિતેશભાઈ શર્મા બાળકો સાથે લંડન સ્થાયી થયાં છે. તેમના પતિ હિતેશભાઈ આફ્રિકાના કોંગો શહેરમાં વેપાર કરે છે. પન્નાબહેને વર્ષ ૨૦૧૧માં મારુતિ શંશ્રય સુર્યવીલા પાછળ મકાન નં. ૧ અને ૨ મહુધાના શખ્સ પાસેથી રૂ. ૫૭.૫૬ લાખમાં ખરીદ્યું હતું. પન્નાબહેન તેમના પતિ સાથે ૨૦૧૯માં બાકરોલ મુકામે આવેલા અને તે વખતે મિલકત ખરીદવાની ઈચ્છા હતી. આથી, રૂ.૫૭.૫૬ લાખનું મકાન મોર્ગેજ કરી તેના પર લોન લઇ બીજી મિલકત ખરીદવાનું આયોજન કર્યું હતું. મૌલિકકુમાર મહેન્દ્રભાઈ દરજીએ તેમને લોન મેળવવા માટે તેમજ મિલકત મોર્ગેજ કરવા માટે મદદ કરવાનું જણાવ્યું હતું. મૌલિક થોડા દિવસ બાદ પન્નાબહેન પાસે ગયો હતો અને લોન મેળવવા કેટલાક દસ્તાવેજો તૈયાર કરવાના છે વળી તમે વિદેશમાં રહેતા હોવાથી પહોંચી નહીં શકો જેથી, પાવર ઓફ એટર્ની કરી આપો. તેવી માંગણી કરી હતી. વિશ્વાસ મુકી પન્નાબહેને ૨૦૧૯ના પાવર ઓફ એટર્ની કરી આપ્યો હતો. આ પાવર ઓફ એટર્નીના ત્રણ મહિના બાદ મૌલિકે પન્નાબહેનના એકાઉન્ટમાં રૂ.૪૦ લાખ જમા કરાવ્યાં હતાં. આ રકમ લોન પેટે મંજુર થયા છે તેમ કહ્યું હતું. આ રકમ બેન્કે જમા કરાવી નહતી. આથી, પન્નાબહેને પુછતાં મૌલિકે કહ્યું કે, પૈસાથી મતલબ રાખો, ક્યાંથી પૈસા આવ્યાં તે તમારે જોવાનું જરૂર નથી. તેમ કહેતા પન્નાબહેને નાણા લેવાની ના પાડી હતી. આખરે મૌલીકે ૪૦ લાખ રૂપિયામાંથી ૩૦ લાખ રૂપિયા મયુરકુમાર પટેલના ખાતામાં અને રૂ.૧૦ લાખ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં જમા કરાવી લીધા હતા. જોકે, પન્નાબહેનને વિશ્વાસ ન આવતા તેઓએ પાવર ઓફ એટર્ની પરત કરવા તાકીદ કરી હતી. બાદ મૌલિક ભુગર્ભમાં ઉતરી ગયો હતો. માર્ચ ૨૦૨૦માં પન્નાબહેનના સંબંધીએ ફોન કરી કહ્યું કે, તમારું બાકરોલનું મકાન પાવર ઓફ એટર્ની હોલ્ડરે કોઇ વ્યક્તિને વેચી દીધું છે. પન્નાબહેન તુરંત આવી જોયું તો કોઇનો સામાન પડ્યો હતો. રેવન્યુ રેકર્ડમાં તપાસ કરતાં મૌલિકે પાવર ઓફ એટર્ની હોલ્ડર તરીકે આ મિલકત દિવ્યેશ રમણભાઈ પટેલને રૂ.૫૭.૫૬ લાખમાં વેચાણ આપી દીધું હતું. આ મકાનના વેચાણ પેટે રોકડા રૂ.૧૪,૯૮,૪૪૦ અને બાકી રકમના છ જુદી જુદી રકમના ચેકો મૌલિકે પોતાના નામે લઇ લીધાં હતાં.
આમ પાવર ઓફ એટર્ની હોલ્ડર તરીકે મૌલિકે અડધા કરોડનું મકાન બારોબાર તેના આપી દીધાનો ઘટસ્ફોટ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.