ગાંધીનગરઃ ગુજરાતમાં લોથલ ખાતે રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર સંકુલનું નિર્માણ કરવા માટે પારસ્પરિક સહયોગના ઉદ્દેશથી કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલય તેમજ સાંસ્કૃતિક મંત્રાલયે સમજૂતી કરાર કર્યા છે. આ કરારથી દેશના સમુદ્રી ઇતિહાસ અને સાગરકાંઠાની પરંપરા પ્રદર્શિત કરવામાં આવશે.
દેશમાં આ પ્રકારનું પ્રથમ નિર્માણ હશે જે ભારતના સમુદ્રી વારસા માટે સમર્પિત હશે. આ સંકુલ અમદાવાદથી ૮૦ કિલોમીટર દૂર લોથલની એએસઆઇ સાઇટની નજીકમાં કરવામાં આવશે અને તે આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ બની રહેશે. આ પરિયોજનાનું નિર્માણ કરવા માટે, જમીનનું હસ્તાંતરણ કરવાની ઔપચારિકતા પૂરી કરી દેવામાં આવી છે.લગભગ ૪૦૦ એકરના વિસ્તારમાં આ સંકુલનું નિર્માણ કરવામાં આવશે જેમાં રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર સંગ્રહાલય, લાઇટ હાઉસ સંગ્રહાલય, હેરિટેજ થીમ પાર્ક, સંગ્રહાલયની થીમ આધારિત હોટેલો અને મેરિટાઇમ થીમ આધારિત ઇકો રિસોર્ટ, મેરિટાઇમ ઇન્સ્ટિટયુટ વગેરે સહિત વિવિધ અનન્ય માળખાઓને સમાવી લેવામાં આવશે. આ તમામ નિર્માણ તબક્કાવાર રીતે કરવામાં આવશે.
આ સંકુલની વિશેષતા એ છે કે, અહીં પ્રાચીન લોથલ શહેરની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવશે જે ઇ.સ. પૂર્વે ૨૪૦૦ના સમયની સિંધુ ખીણ પ્રદેશની સંસ્કૃતિનું મુખ્ય શહેર હતું.