રાજકોટ: રાજકોટમાં અજગરી ભરડાની જેમ ફેલાયેલા વ્યાજચક્રના કારણે અનેક લોકોએ જીવન ટુંકાવી લીધાના કિસ્સા પોલીસમાં સમયાતરે નોંધાતા રહ્યા છે. કેટલાક લોકો વ્યાજખોરીના દૂષણથી ત્રાસીને મોતને વ્હાલું કરે છે તો કેટલાક પરીવાર સાથે ગૂમ થઈ જાય છે. ત્યારે કાલાવડ રોડ પર રહેતા ટ્યુશન કલાસીસના સંચાલકે વ્યાજખોર બિલ્ડરની ધમકી અને ત્રાસથી કંટાળી જઈ પત્ની-પુત્રી સાથે લાપતા બની ગયાની અને આપઘાત કરી લેવાની સુસાઈડ નોટ-ફરિયાદ પોલીસ કમીશનરને કરવામાં આવતા પોલીસબેડામાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે દંપતી સહિત ત્રણેયની શોધખોળ શરૂ કરી હતી.
ટયુશન કલાસીસ ચલાવતા વિજય મકવાણા તેની પત્ની કાજલબેન અને પુત્રી નિયતી સાથે બે દિવસથી ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયાની વિજયભાઈના ભાઈ કિરણ મકવાણાએ સુસાઈડ નોટ સાથેની ફરિયાદ પોલીસ કમીશનરને કરવામાં આવતા પોલીસે ગુમ થયેલા દંપતી-પુત્રીની શોધખોળ શરૂ કરી હતી.