સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Wednesday 23rd June 2021 07:52 EDT
 

• કોરોનાના કારણે સતત બીજા વર્ષે અમરનાથ યાત્રા રદ: કોરોના સંક્રમણને કારણે સતત બીજા વર્ષે અમરનાથ યાત્રા રદ કરી દેવાઈ છે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે સોમવારે આ નિર્ણય લીધો હતો. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ અને શ્રાઈન બોર્ડના અધ્યક્ષ મનોજ સિંહાએ કહ્યું કે, લોકોની જિંદગી બચાવવા અને તેમને સુરક્ષિત રાખવા જરૂરી છે. આથી આ યાત્રા રદ કરાઈ છે. યાત્રા સંબંધિત તમામ ધાર્મિક પરંપરાનું સંપૂર્ણપણે પાલન કરાશે. કરોડો શ્રદ્ધાળુઓની ભાવનાને ધ્યાનમાં લઈ દરરોજ સવાર-સાંજ આરતીનું સીધું પ્રસારણ થશે. રોજ સવારે ૬ વાગ્યે અને સાંજે ૫.૩૦ વાગ્યે બોર્ડની વેબસાઈટ www. shriamarnathjishrini.com અને એપ પર આરતીનું પ્રસારણ થશે.
• મોદી પ્રધાનમંડળ માટે ૮ નામ ફાઈનલ થયાંઃ વડા પ્રધાન મોદી કેન્દ્રિય પ્રધાનમંડળનું વિસ્તરણ કરીને એક ડઝન જેટલાં નવા ચહેરાઓને પ્રધાન બનાવશે એવા અહેવાલ છે. આ પૈકી આઠ નામ બિલ્કુલ નક્કી થઈ ગયાં છે અને તેમનો પ્રધાનમંડળમાં સમાવેશ થશે જ. ભારે મનોમંથનના અંતે સદાનંદ સોનોબાલ, સુશીલકુમાર મોદી, જ્યોતિરાદિત્ય સિંધિયા, દિનેશ ત્રિવેદી, વરુણ ગાંધી, ભૂપેન્દ્ર યાદવ, અશ્બિની વૈષ્ણવ અને જયમાંગ સેરિંગ નામગ્યાલના નામો પર સર્વસંમતિ સધાઈ છે. મોદી વર્તમાન પ્રધાનમંડળમાંથી કેટલાંકને સંગઠનમાં પણ મોકલવા માંગે છે. મોદીએ અમિત શાહ અને જે. પી. નડ્ડા સહિતના નેતાઓ સાથે મળીને પ્રધાનમંડળના સભ્યોની કામગીરીનું વિશ્લેષણ શરૂ કર્યું છે. તમામ પ્રધાનોના રિપોર્ટ કાર્ડ તૈયાર છે અને તેના આધારે કોનાં કોનાં પત્તાં કાપીને સંગઠનમાં મોકલવા એ નક્કી કરાશે.
• ચારધામ યાત્રા ૧ જુલાઇથી વિવિધ તબક્કામાં શરૂ થશેઃ કોરોનાના ઘટતા કેસની વચ્ચે હવે ઉત્તરાખંડ સરકારે વિવિધ તબક્કામાં ચારધામ યાત્રા શરૂ કરવાનું નક્કી કર્યું છે. તેની શરૂઆત ૧ જુલાઈથી કરાશે. મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવતની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચારધામ યાત્રા શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. યાત્રા ત્રણ તબક્કામાં ખૂલશે. પ્રથમ તબક્કામાં ૧ જુલાઈથી ચમોરી જિલ્લાના લોકો બંદ્રીનાથ, રુદ્રપ્રયાગ જિલ્લાના લોકો કેદારનાથ અને ઉત્તર કાશી જિલ્લાના લોકો ગંગોત્રી અને યમનોત્રી જઈ શકશે. ત્યારપછી ૧૧ જુલાઈથી રાજ્યના તમામ જિલ્લાના લોકો માટે યાત્રા ખોલી દેવાશે. જો કોરોનાની સ્થિતિ સામાન્ય રહેશે તો ત્રીજા તબક્કામાં બીજા રાજ્યના લોકોને પણ યાત્રાની મંજૂરી અપાશે.
• નવો રેકોર્ડ સર્જાયો : દેશમાં એક જ દિવસમાં ૮૪.૦૭ લાખથી વધુ લોકોને રસી અપાઈઃ દેશમાં એક જ દિવસમાં કોરોનાની વેક્સિન આપવાનો નવો રેકોર્ડ સર્જાયો છે. સરકાર દ્વારા નવી વેક્સિન નીતિનો અમલ કરવાનાં પહેલા જ દિવસે ૮૪.૦૭ લાખથી વધુ લોકોને વેક્સિન અપાઈ છે. વિશ્વમાં એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં ક્યારેય રસીકરણ થયું નથી. ભારતે ૨૧ જૂનના રોજ જે રસી આપી તે ઈઝરાયેલી કુલ વસતી જેટલી છે અને ન્યૂઝીલેન્ડની વસતી કરતા બમણી છે.
• દેશમાં કોરોનાનો પ્રકોપ ઘટયો : દેશમાં કોરોનાનો પ્રકોપ સતત ઘટી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ૮૮ દિવસ પછી છેલ્લા ૨૪ કલાકમાં નવા ૫૩,૨૫૬ કેસ નોંધાયા છે. કોરોનાથી થનારા મૃત્યુની સંખ્યા પણ સતત ઘટી રહી છે. એક જ દિવસમાં ૧૪૨૨ લોકોનાં મોત થયાં છે. ૭૮,૧૯૦ દર્દીઓ સાજા થયા છે. આમ સતત ૩૯મા દિવસે નવા કેસની સરખામણીમાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. કુલ ૨,૮૮,૪૪,૧૯૯ લોકો સાજા થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક ૩,૮૮,૧૩૫ થયો છે. દેશમાં કુલ કેસનો આંકડો વધીને ૨,૯૯,૩૫,૨૨૧ થયો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૭,૦૨,૮૮૭ થઈ છે. આમ કેસ લોડ ૨.૪૪ ટકા નોંધાયો છે.
• કાશ્મીરમાં એલઈટી કમાન્ડર સહિત ૩ આતંકી ઠારઃ જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે આખી રાત ચાલેલી અથડામણમાં આખરે ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા હતા. તેમાંનો એક મુદસ્સર પંડિત સોપોર ખાતે બે ભાજપ કોર્પોરેટરો અને એક પોલીસની હત્યા બદલ મોસ્ટ વોન્ટેડ હતો. બીજો પાકિસ્તાની ત્રાસવાદી હતો અને ત્રીજો આતંકી એલઈટીનો ટોચનો કમાન્ડર હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના અંગે DGP દિલબાગસિંઘે જણાવ્યું હતું કે, ત્રણેય આતંકવાદી લશ્કર-એ-તોઈબા માટે કામ કરતા હતા.
• માતા વૈષ્ણો દેવીના મંદીર પાસે લાગી આગઃ કટડા સ્થિત માતા વૈષ્ણો દેવીના દરબાદ (ભવન)ની નજીક આગ લાગવાની ઘટના બની હતી. કાલિકા ભવનની પાસે કાઉન્ટર નંબર બે નજીક આગ લાગવાથી હડકંપ મચી ગયો હતો. આગ પર કાબુ મેળવવા માટે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આગમાં કેસ કાઉન્ટર સળગીને ખાક થઈ ગયું હતું, ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ આગમાં કાલિકા ભવનના રૂમ નંબર ૪ અને આસપાસનું પરિસર સળગીને ખાક થઈ ગયું છે. આગનું કારણ સંભવતઃ શોર્ટ સર્કિટ હોઈ શકે છે.
• ફિંગફિશર એરલાઇન્સની લોન વસૂલવા બેન્કો માલ્યાની ૩ કંપનીના શેરો વેચશેઃ સ્ટેટ બેન્કના નેતૃત્વ હેઠળ બેન્કોનું એક જૂથ ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાની ૩ કંપનીના શેર વેચવાની તૈયારીમાં છે. માલ્યાની કંપની કિંગ ફિશર એરલાઈન્સને અપાયેલી રૂ. ૬૨૦૦ કરોડની લોનની વસૂલાત માટે બેન્કો આ પગલું ભરી રહી છે. માલ્યાની ૩ કંપનીઓ - યુનાઈટેડ બ્રુવરિઝ, યુનાઈટેડ સ્પીરીટ અને મેકડોવેલના શેરોનું વેચાણ ૨૩ જૂનના રોજ કરાશે. ૨૦૧૨માં કિંગ ફિશર એર લાઈન્સની લોન NPAમાં ફેરવાઈ હતી.
• સૌથી વધુ લોકપ્રિયતા ધરાવતા નેતાઓમાં વડા પ્રધાન મોદી વિશ્વમાં નંબર વનઃ અમેરિકન ડેટા ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટે હાથ ધરેલા સર્વે અનુસાર પીએમ મોદી ભારતમાં ૬૬ ટકા લોકપ્રિયતા ધરાવે છે. પીએમ મોદી અમેરિકાના પ્રમુખ જો બાઇડેન, બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ સહિત ૧૩ દેશોના નેતાઓ કરતાં પોતાના દેશવાસીઓમાં વધુ લોકપ્રિય છે.
• ફ્રાન્સ દ્વારા આયોજિત ઇવેન્ટમાં બોલ્યા મોદી- ઇનોવેશન વગર કોરોના સામે ભારત જીતી શક્યું ના હોતઃ ફ્રાન્સ દ્વારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિવાટેક ગ્લોબલ ટેક સમિટમાં વિશેષ અતિથિ તરીકે આ ઇવેન્ટમાં સંબોધન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. વડા પ્રધાને જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાન્સ વર્તમાન સમયની તાતી જરૂરિયાત ગણાતા પ્રૌદ્યોગિકી અને ડિજિટલ સહયોગ ઉપર સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, વિશ્વમાં કોરોનાની મહામારી આવી ત્યારે ભારત પાસે પૂરતી ટેક્નોલોજી અને સંશોધનોનો અભાવ હતા. ભારતે આ દિશામાં આક્રમકતા સાથે પગલાં લીધા અને માસ્ક, પીપીઈ કિટ, રસી અને અન્ય સામગ્રીઓ સ્વદેશી રીતે વિકસાવી જેથી કોરોનાને પરાજય આપી શકાયો.
• પાસવાનના મૃત્યુના ૮ મહિના પછી લોજપામાં ઊભા ફાડિયાંઃ લોક જનશક્તિ પાર્ટી (લોજપા)માં કાકા ભત્રીજા વચ્ચેનો ઝઘડો ચરમસીમાએ પહોંચી ગયો હતો. ચિરાગ પાસવાને બળવાખોર ૫ સાંસદોને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. કાકા પશુપતિકુમાર પારસને સંસદીય પક્ષના નેતાપદેથી હટાવી દીધા છે. તો પારસના નેતૃત્વ હેઠળના જૂથે ચિરાગને પક્ષના પ્રમુખપદેથી હાંકી કાઢ્યો છે. લોકસભા સચિવાલયે ગૃહમાં લોજપાના નેતા તરીકે પારસના નામને માન્યતા આપી હતી. ચિરાગ સાથે તેમના પક્ષના કોઈ સાંસદ નથી. તમામ સાંસદોએ પારસને ટેકો આપ્યો છે. મામલો હવે ચૂંટણીપંચ સુધી જાય તેમ મનાય છે.
• ભારત અને ચીનના ધનિકો સ્વદેશ છોડીને વિદેશમાં વસવાટ કરનારા લોકોમાં મોખરેઃ વિવિધ કારણોસર પોતાનો દેશ છોડીને અન્ય દેશમાં વસવાટ કરનારામાં ચીન અને ભારતના ધનિકોની સંખ્યા સૌથી વધુ છે. ૨૦૧૯માં ચીનનાં ૧૬,૦૦૦ અને ભારતનાં ૭,૦૦૦ ધનિકોએ તેમનો દેશ છોડીને વિદેશમાં વસવાટ કર્યો છે. AfrAsia Bank દ્વારા આ અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં ૧ મિલિયન ડોલરથી લઈને ૯.૯ મિલિયન ડોલરની સંપત્તિ ધરાવનારાઓને આવરી લેવાયા હતા. ચીન અને ભારતમાંથી અન્ય દેશોમાં ગયેલા હાઈ નેટવર્થ ઈન્ડિવિડયુઅલ્સ (HNWI)ની ટકાવારી ફક્ત ૨ ટકા જ હતી જ્યારે રશિયા અને તુર્કીની ટકાવારી અનુક્રમે ૬ ટકા અને ૮ ટકા હતી.
• એન્ટેલિયા કેસમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની ધરપકડઃ એન્ટેલિયા વિસ્ફોટક મામલે એનઆઈએ દ્વારા મુંબઈ પોલીસના ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની ધરપકડ કરાઈ છે. શર્મા હાલમાં મહારાષ્ટ્રમાં સત્તાધારી પક્ષ શિવસેનાના નેતા છે. તેમને કોર્ટમાં રજૂ કરાયા બાદ ૨૮ જૂન સુધી એનઆઈએની કસ્ટડીમાં મોકલી અપાયા છે.
• ભારતને ૨૦૨૦માં ૬૪ અબજ ડોલરનું મૂડીરોકાણ મળ્યું : યુએન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટના વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ ૨૦૨૧માં ખુલાસો થયો છે કે, ભારતને ૨૦૨૦માં વિશ્વમાં પાંચમા ક્રમનું સૌથી વધુ ૬૪ અબજ ડોલર FDI મળ્યું હતું. જો કે કોરોનાના કારણે ૨૦૨૦માં વૈશ્વિક એફડીઆઈ પ્રવાહ ૩૫ ટકા ગગડીને એક ટ્રિલિયન ડોલર નોંધાયો હતો કે જે ૨૦૧૯માં ૧.૫ ટ્રિલિયન અમેરિકન ડોલર નોંધાયો હતો. જો કે વિશ્વથી વિપરીત ભારતમાં એફડીઆઈના પ્રવાહમાં ૨૭ ટકાનો વધારો નોંધાયો હતો. ૨૦૧૯મા ૫૧ અબજ ડોલર એફડીઆઈ નોંધાયું હતું તે ૨૦૨૦માં વધીને ૬૪ અબજ ડોલર હતું.
• બાળકો માટે નોવાવેક્સ રસીની ટ્રાયલ જુલાઇમાંઃ અમેરિકી કંપની નોવાવેક્સની રસીનું આગામી મહિને બાળકો પર પરીક્ષણ શરૂ થશે. સિરમ ઈન્સ્ટિટ્યૂટ આ રસીનું ઉત્પાદન કરશે. સપ્ટેમ્બર મહિના સુધીમાં દેશમાં નોવાવેક્સ કંપનીની કોવેક્સ રસીને લોન્ચ કરાશે. ચાલુ સપ્તાહના પ્રારંભે ત્રીજા તબક્કાની ક્લિનીકલ ટ્રાયલમાં આ રસી ૯૦.૪ ટકા અસરકારક નોંધાઈ હતી. અમેરિકા અને યુરોપના દેશોમાં અપાઈ રહેલી ફાઈઝર અને મોર્ડર્ના રસીની અસરકારકતા અનુક્રમે ૯૧.૩ ટકા અને ૯૦ ટકા સુધી જોવા મળી છે.


comments powered by Disqus