પાલનપુરઃ અંબાજી નજીકના સરસ્વતી નદીના ઉદ્દગમ સ્થાન કોટેશ્વરમાં હરિદ્વારની પવિત્ર ગંગા આરતીની જેમ જ સરસ્વતી આરતી કરાશે. ઉપરાંત અયોધ્યામાં રામમંદિરના આર્કિટેક્ટ સી.બી.સોમપુરાની ટીમ કોટેશ્વરધામની ડિઝાઇન વિકસાવવા આગામી દિવસોમાં આવશે. કોટેશ્વર મંદિરની ફરતે ડુંગરાઓને હરિયાળા બનાવવા સૂચનાઓ અપાઇ છે.
આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ૧૫ એપ્રિલે કોટેશ્વર મહાદેવ મંદિર, પરિસર, ગૌમુખ, વાલ્મીકિ આશ્રમ, ગૌશાળા તથા ખેતીની જમીનનો કબજો લેવાયો હતો. ગૌમુખની જગ્યાએ ગૌમુખ તથા પાણીના કુંડનું રિનોવેશન, ધર્મશાળાનું જર્જરીત માળખુ કાઢી નાંખી સરસ્વતી નદીના ઉદગમ સ્થાનનું ધાર્મિક મહત્વ દર્શાવતી થીમ ઉપર સરસ્વતી માતાજીની મૂર્તિ તથા અન્ય ડેવલપમેન્ટ કરવું, હયાત મંદિરો તથા સ્ટ્રક્ચરોનું રીનોવેશન, આયુર્વેદિક પુસ્તકોની લાયબ્રેરી, યાત્રિક વિસામો, પાર્કિંગ સુવિધા, ગૌશાળામાં ગૌશાળાનું ડેવલપમેન્ટ વગેરે કામો હાથ ધરવાનું આયોજન છે.
સરસ્વતી નદીના ઉદ્દગમસ્થાનને દેશ- વિદેશમાં મંદિર સ્થાપત્યના વિશેષજ્ઞ અને રામમંદિરના આર્કિટેક તરીકે પ્રખ્યાત આર્કિટેક્ટ સી.બી. સોમપુરાએ કોટેશ્વર ધામના વિકાસ માટે જરૂરી આર્કિટેક્ટ તરીકેની સેવાઓ વિનામૂલ્યે આપવા માટે સંમતિ આપી છે. આવનારા સમયમાં ગંગા આરતીની જેમ જ કોટેશ્વર
ખાતે સરસ્વતી આરતીનું આયોજન થશે.