સૌરાષ્ટ્રના ખેડૂતો દ્વારા સફળ કાજુ ખેતી

Wednesday 23rd June 2021 07:00 EDT
 
 

હળવદ: શિવપુર પંથકમાં કાજુની ખેતી સારા પ્રમાણમાં થાય છે. અહીં મોટે ભાગે બાગાયત ખેતી કરાય છે. દાડમ, જામફળ, લીંબુ, સીતાફળ ઉપરાંત કેરીનો પાક મબલખ લેવાય છે. ૮ વર્ષથી કાજુનો ભાગ પણ લેવાય છે. અહીં અંદાજે જુદા જુદા બગીચાઓમાં ૧૫ વીઘામાં કાજુનું વાવેતર થયું છે.
અત્યારે ૪ ખેડૂતો કાજુનો પાક લે છે, જેમાં અશોકભાઇ ચનિયારા પાસે ૮૦ વીઘાનો બગીચો છે. એમાંથી અઢી વીઘામાં તેમણે કાજુનું વાવેતર કર્યું છે. કાજુનો એક રોપ ૪૦થી ૧૦૦ રૂપિયામાં મળતો હોય છે અને ત્રણથી ચાર વર્ષે એમાં ફળ લાગવાનું શરૂ થાય છે. એક વીઘે ૩૫થી ૪૦ હજારની આવક થાય છે. નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ફળ બેસવાનું શરૂ થાય છે અને મે-જૂન મહિનામાં ફળો પાકી જાય છે. તૈયાર પાકને અમદાવાદના વેપારીઓ બગીચાએથી જ લઈ જાય છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કાજુને ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે, પરંતુ ૪૫ સેલ્સિયસથી વધુ તાપમાન કાજુને નુકસાન કરે છે તેમ જ ઢોળાવવાળી જમીન હોય કે જ્યાં પાણીનો ભરાવો ના થાય એ પ્રકારની જમીન વધુ માફક આવે છે. મેદાની પ્રદેશમાં આ પાક વધુ સફળ નથી થતો. એટલા માટે કર્ણાટક અને ગોવામાં કાજુની ખેતી વધુ પ્રમાણમાં થાય છે, જ્યારે સૌરાષ્ટ્રમાં થોડી મુશ્કેલી પડે છે.


comments powered by Disqus