નવીદિલ્હીઃ આસામમાં નાગાલેન્ડ સરહદ નજીક આવેલા કારબી આંગલોંગ જિલ્લામાં સુરક્ષાદળો સાથે સર્જાયેલી અથડામણમાં દિમાસા નેશનલ લિબરેશન આર્મી (ડીઅએનએલએ) સંગઠનના આઠ ત્રાસવાદી માર્યા ગયા હતા. ત્રાસવાદીઓ છુપાયેલા હોવાની બાતમી આધારે કારબી આંગલોંગ જિલ્લાના પોલીસ અને આસામ રાઇફલ્સના જવાનોએ ત્રાસવાદીઓ સામે સંયુક્ત અભિયાન હાથ ધર્યું હતું. મિચિબાયલુંગ વિસ્તારમાં સુરક્ષાદળો અને ત્રાસવાદીઓ વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો. તે અથડામણમાં આ ગેરકાયદે સંગઠનના આઠ સભ્યો ઠાર થયા હતા. અથડામણ બાદ તરત ત્રાસવાદીઓના છ મૃતદેહ મળી આવ્યા હતા.