હવે ઘેરબેઠા કોરોનાનો રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરી શકાશે, કિટને ICMRએ આપી લીલી ઝંડી

Wednesday 26th May 2021 07:54 EDT
 

નવીદિલ્હીઃ ICMRએ ઘેરબેઠા કોરોનાનો રેપિડ એન્ટિજેન ટેસ્ટની પરવાનગી આપી દીધી હતી. હવે કોરોનાના લક્ષણ ધરાવતી વ્યક્તિ આરોગ્ય કર્મીની હાજરી વિના જાતે જ કોરોનાનો ટેસ્ટ કરી શક્શે. ટેસ્ટની એડવાઇઝરી ICMRદ્વારા જારી કરાઇ હતી.
ICMRએ જણાવ્યું કે, કોવિસેલ્ફ નામની ટેસ્ટિંગ કિટને મંજૂરી આપવામાં આવી છે. ફક્ત નાકમાંથી સ્વેબ લઇને કોઇપણ વ્યક્તિ રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરી શકશે.
પૂણે સ્થિત કંપની દ્વારા તૈયાર કરાયેલી ટેસ્ટ કિટ આગામી સપ્તાહમાં રૂપિયા ૨૫૦માં ઉપલબ્ધ થશે. આ કિટ ૧૫ મિનિટમાં જ કોરોના ટેસ્ટનું રિઝલ્ટ આપી દે છે. કિટ દવાની દુકાનમાંથી પ્રિસ્ક્રિપ્શન વિના ખરીદી શકાશે. બીજીતરફ નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા વિકસાવેલી ટેકનિકમાં દર્દીએ કરેલા કોગળાને સેમ્પલ તરીકે ઉપયોગમાં લઇ આરટી-પીસીઆર ટેસ્ટ કરાશે.
ICMR દ્વારા આ માટેની મંજૂરી આપી દેવાઇ છે. દેશમાં જૂન મહિનાના અંત સુધીમાં દૈનિક ૪૫ લાખ ટેસ્ટ કરવાનો સરકારનો ટાર્ગેટ છે. આ પ્રક્રિયામાં સેલ્ફ ટેસ્ટ હોમ કિટ પણ મદદરૂપ બનશે.
જૂન મહિનાના અંત સુધીમાં વધુ ત્રણ ટેસ્ટ કિટને મંજૂરી આપી દેવાશે.


comments powered by Disqus