નવી દિલ્હી: ભારતના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય સશસ્ત્રદળોના મથક પર આતંકવાદીઓ દ્વારા ડ્રોનની મદદથી હુમલાની ઘટના બની છે. ગત ૨૭ જૂનના જમ્મુ એરફોર્સના બેઝ ખાતે વહેલી પરોઢે બે વિસ્ફોટ થતાં એરફોર્સના બે જવાનને ઇજા પહોંચી હતી. પાકિસ્તાનની બોર્ડરથી ફક્ત ૧૪ કિમીના અંતરે આવેલા ઉચ્ચ સુરક્ષા ધરાવતા જમ્મુ એરફોર્સના બેઝ પર ૧.૩૭ કલાકે પહેલો વિસ્ફોટ થયો હતો. તેની પાંચ જ મિનિટ બાદ ૧.૪૩ કલાકે બીજો વિસ્ફોટ થયો હતો. આ ધડાકાનો અવાજ એક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. પહેલા બોંબ વિસ્ફોટના કારણે ટેકનિકલ સેક્શનની ઇમારતની છતને નુકસાન થયું હતું જ્યારે બીજો વિસ્ફોટ ખુલ્લા વિસ્તારમાં થયો હતો. હુમલાના પગલે સુરક્ષા દળોએ થોડી જ મિનિટોમાં સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો.
હુમલા બાદ યુએપીએ અંતર્ગત એફઆઇઆર નોંધી તપાસ એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી. એનઆઇએ દ્વારા આ કેસની તપાસ પોતાના હાથમાં લેવાઇ છે. એરફોર્સની ટુકડીઓ, નેશનલ બોમ્બ ડેટા સેન્ટર, ફોરેન્સિક ડેટા એક્સપર્ટ અને જમ્મુ-કાશ્મીર પોલીસ પણ હુમલાની તપાસ કરી રહ્યાં છે.
જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું હતું કે પોલીસે એક શંકાસ્પદની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. આતંકવાદીઓના નિશાન પર એર ટ્રાફિક કન્ટ્રોલની ઇમારત અને એમઆઇ ૧૭ હેલિકોપ્ટર હતાં પરંતુ ડ્રોન દ્વારા ફેંકાયેલા વિસ્ફોટકો નિશાન ચૂકી ગયાં હતાં. એક બ્લાસ્ટ એટીસીની ઇમારતથી ફ્ક્ત ૧૦૦ મીટર દૂર થયો હતો. એક ડ્રોન દ્વારા પાંચ કિલોનો ટીએનટી બોમ્બ ફેંકાયો હતો જ્યારે બીજા બોંબની તીવ્રતા ઓછી હતી. હુમલા પાછળ પાકિસ્તાન સ્થિતિ આતંકવાદી સંગઠનો લશ્કર એ તોયબા અથવા તો જૈશ એ મોહમ્મદનો હાથ હોઇ શકે છે. સુરક્ષા દળોએ હૂમલાની આગલી રાત્રે જ લશ્કર એ તોયબા સાથે સંકળાયેલા એક આતંકવાદીની ધરપકડ કરી હતી. તેની પાસેથી ચાર કિલો આઇઇડી વિસ્ફોટક મળી આવ્યા હતા. તેનો ઉપયોગ જમ્મુમાં ભરચક વિસ્તારમાં બ્લાસ્ટ માટે થવાનો હતો. જમ્મુ એરબેઝ પર કરવામાં આવેલો ડ્રોન હુમલામાં બે શકમંદોની ધરપકડ કરાઈ હતી.
આતંકીઓના ફેવરિટ ડ્રોનનો ઉપયોગમાં વધારો
છેલ્લા કેટલાક વર્ષથી પાકિસ્તાની સેના અને આતંકવાદીઓ દ્વારા ડ્રોનનો ઉપયોગ વધારી દેવાયો છે. પરંતુ હવે એરફોર્સ બેઝ પર ડ્રોન દ્વારા હુમલો કરાતાં ઘણા સવાલો સર્જાયાં છે. પાકિસ્તાનમાંથી ડ્રોન દ્વારા આતંકવાદીઓને હથિયાર પહોચાડવાની પહેલી ઘટના ૧૩ ઓગસ્ટ ૨૦૧૯માં સામે આવી હતી. અમૃતસરના એક ગામમાં ક્રેશ થયા પછી એક ડ્રોન ઝડપાયું હતું. આમ આતંકવાદીઓ માટે ડ્રોન ફેવરિટ બની રહ્યાં છે.
હુમલામાં પી-૧૬ ડ્રોનના ઉપયોગની આશંકા
જમ્મુમાં એરફોર્સ સ્ટેશન પર હુમલો થયા પછી એરફોર્સના ટેકનિકલ વિસ્તારને સીલ કરી દેવાયો છે. ફોરેન્સિક ટીમે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. એરફોર્સે કહ્યું હતું કે, આ હુમલામાં કોઈપણ ઉપકરણોને કોઈ નુકસાન નથી થયું. જોકે, આ હુમલા માટે પી-૧૬ ડ્રોનનો ઉપયોગ કરાયો હોવાનું મનાય છે. આ ડ્રોન ઘણું નીચે ઊડી શકે છે. આથી અનેક વખત તે રડારમાં પકડાતું નથી.
૩૭૦ હટાવ્યા પછી પાક. સરહદે ૩૦૦ ડ્રોન જોવા મળ્યા
ઓગસ્ટ ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવામાં આવી હતી. તે બાદથી લઈને અત્યાર સુધી પાકિસ્તાન દ્વારા સરહદે મોકલાયેલા આશરે ૩૦૦ જેટલા ડ્રોન જોવા મળ્યા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. જેને પગલે બીએસએફ અને સુરક્ષા જવાનો દ્વારા આવા કોઈ પણ ડ્રોનને તોડી પાડવાની રણનીતિ તૈયાર કરાઈ હતી. પાકિસ્તાન આ ડ્રોનનો ઉપયોગ મોટાભાગે જાસૂસી કરવા અથવા આંતકીઓને હથિયાર કે તસ્કરોને ડ્રગ્સ પૂરું પાડવા કરતું આવ્યું છે પણ હવે તેનો ઉપયોગ હુમલો કરવા માટે પણ થવા લાગ્યો છે. જેને પગલે એજન્સીઓ વધુ એલર્ટ થઈ ગઈ છે.
હુમલાના બીજા દિવસે ઊડી રહેલાં બે ડ્રોનને ખદેડી મુકાયાં
જમ્મુનાં એરબેઝ પર ૨૬ જૂનની મોડી રાત્રે ડ્રોન વડે કરાયેલા આતંકી હુમલાની શાહી હજી ભૂંસાઈ નથી ત્યાં ૨૮ જૂન પરોઢિયે રત્નુચક અને કાલુચક વિસ્તારમાં આવેલી ભારતની સૈન્ય છાવણીઓ પર હુમલો કરવાના ઈરાદે આવેલા બે ડ્રોન આકાશમાં ચક્કર લગાવતા જોવા મળ્યા હતા. એક ડ્રોન રાત્રે ૧૦ કલાકે અને બીજું પરોઢિયે ૩ કલાકે સેનાની છાવણી પર ઉડતા જોવા મળતા જવાનો સતર્ક થઈ ગયા હતા. અને બને ડ્રોન પર ૨૦થી ૨૫ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ પછી બને ડ્રોન પાછા ફરીને અદૃશ્ય થઈ ગયા હતા. જવાનોની સતર્કતાને કારણે મોટો હુમલો નિવારી શકાયો હતો. આર્મીના જવાનોને અહીં હાઈ એલર્ટ કરવામાં આવ્યા હતા. ૨૬ જૂનના જમ્મુ એરબેઝ પર કરવામાં આવેલો ડ્રોન હુમલામાં બે શકમંદોની ધરપકડ કરાઈ છે.