સુરતઃ દેશભરમાં કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવીને બ્રિટન ભાગી ગયેલા ભાગેડુ નિરવ મોદીની સુરત જિલ્લામાં આવેલી આઠ સ્થાવર મિલકતો તેમજ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં મુકાયેલા જવેલરીની જંગમ મિલકતો સી.આર.પી.સી.ની કલમ ૮૩ હેઠળ જપ્ત કરવાની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.
વર્ષ ૨૦૧૮ દરમિયાન હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન કરી નિકાસ કરવાના કેસમાં સેન્ટ્રલ કસ્ટમ એન્ડ એકસાઈઝ વિભાગે નિરવ મોદીની સુરતમાં સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં આવેલી મિલકતો પહેલા સીઝ કરવાની અરજી આપી હતી. જે અરજી ગ્રાહ્ય રખાયા બાદ નિરવ મોદી કોર્ટ સમક્ષ હાજર થવાને બદલે દેશ છોડી ભાગી ગયો હતો. જે બાદ કોર્ટ દ્વારા કલમ ૮૨ હેઠળ કાર્યવાહી આરંભી હતી અને તેમ છતાં હાજર નહીં થતાં આખરે કલમ ૮૩ હેઠળ મિલકત જપ્તીની અરજીનો સ્વીકાર કર્યો છે. આ સાથે જ હવે સુરતની કોર્ટમાંથી પણ ભાગેડુ મોદી સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ થવાનો તેમજ તેના બ્રિટન ખાતેથી ભારત પ્રત્યાર્પણની કાર્યવાહીનો પણ આરંભ થશે.
સુરતની કઈ મિલકતોની જપ્તીને મંજૂરી મળી ?
ફાયર સ્ટોન ઈન્ટરનેશનલ લિ.ના નામે સુરતમાં આવેલ સિટી સર્વે ૪૮૨૪-એ, ટી- ૫૧૮, બેલ્જિયમ ટાવર, રિંગરોડ ખાતેની ચાર કોમર્શિયલ પ્રોપર્ટી, સચિન એસઈઝેડ ખાતે આવેલી જવેલરી કું. લિ. પ્લોટ નંબર ૧૭, ૧૮, ૧૯ મિલકત, સચિન ખાતે જ ફાયરસ્ટોન ડાયમંડની આશરે બે હજાર સ્કવેર મીટરના બાંધકામવાળી મિલકત, પ્લોટ નંબર ૨૬માં આવેલી એક હજાર સ્કવેર મીટર અને બાંધકામ સાથેની મિલકત, ફાયરસ્ટોન ડાયમંડના નામે ત્રણ હજાર સ્કવેર ફિટના એક ઈન્ડસ્ટ્રીયલ પ્લોટનો પણ સમાવેશ થાય છે.