વડોદરાઃ રાજ્યમાં વડોદરા લવ જેહાદના કેસમાં એપી સેન્ટર બની રહ્યું છે. ભુતકાળમાં ૬ મહિનામાં લવ જેહાદના ૬ કિસ્સા બાદ ૬ દિવસે બીજો ગુનો નોંધાયો છે. ૨૩ વર્ષીય પાટીદાર યુવતીને જૂના છાણી રોડ પર રહેતા મોહિબ ઇમ્તીયાઝખાન પઠાણે પ્રેમ જાળમાં ફસાવીને રજિસ્ટર્ડ મેરેજ કર્યા બાદ બળજબરીપુર્વક નિકાહ કર્યા હતા. તેનું નામ પણ માહિરા રાખી હિન્દુ યુવતીના આસ્થાના પ્રતિક સમાન માતાજીના ફોટા ફાડી નાંખી શિવજીની મૂર્તિ ફેંકી દીધી હતી.
શહેરના જુના છાણી રોડ પર રહેતી ૨૩ વર્ષીય યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે તે અભિલાષા ચાર રસ્તા પાસેની સોસાયટીમાં રહે છે. ૨૦૧૮માં તેનો સંતોક નગરના મોહિબ પઠાણ સાથે પરિચય થયો હતો ત્યારબાદ તેને વાતોમાં ફસાવી ૨૦૨૦માં તેની સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા.
લગ્ન બાદ મોહિબ પઠાણે તેની સાથે અશ્લિલ ચેષ્ટાઓ કરીને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું. ત્યારબાદ તે લગ્ન બાદ મોહિબના ઘેર રહેવા આવી ત્યારે તે સાથે માતાજીના ફોટા અને શિવજીની મૂર્તિ લાવી હતી અને તે ઘરમાં પુજા પાઠ કરતી ત્યારે મોહિબે તે મારી સાથે નિકાહ કર્યા છે તો હવે તારે મુસ્લિમ ધર્મ અપનાવવો પડશે તેમ જણાવી મોહિબ ઉશ્કેરાયો હતો અને માતાજીના ફોટા ફાડી નાંખ્યા હતા અને શિવજીની મૂર્તિ નીચે નાંખી દીધી હતી. મોહિબ તેને અવાર નવાર મારઝુડ કરતો હતો.
કંટાળેલી યુવતીએ તેની માતાના ઘેર જવાનું કહેતા મોહિબે તેને માર માર્યો હતો. ઘરમાંથી નીકળી જવાનું કહેતા યુવતી ગભરાઇને ઘરેથી નીકળી ગઇ અને મહિલા પોલીસમાં ફરિયાદ કર્યા બાદ ફતેગંજ પોલીસમાં ફરિયાદ કરી હતી.
હિન્દુ ધર્મ પાળવાની ખાતરી આપતા યુવતી માની હતી
યુવતીએ જણાવ્યું હતું કે મોહિબ તેને લગ્ન કરવાનું જણાવતો હતો અને જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું મરી જઇશ અને જો તું મારી ના થઇ તો હું કોઇની થવા નહીં દઉં. અને આ પ્રકારે તેણે લગ્નનું દબાણ કરતાં યુવતી ગભરાઇ ગઇ હતી અને મારા ઘેર આ મામલાની જાણ થશે તો માતા પિતાની આબરૂ જશે તેમ લાગ્યું હતું. જો કે ત્યારબાદ મોહિબે કહ્યું તું તારી મરજીથી હિન્દુ ધર્મ પાળી શકીશ. જેથી યુવતી તેની વાતોમાં આવી ગઇ હતી.