અમદાવાદઃ ૨૫ જૂનની સવારે ૯.૧૦ વાગે ૨૨૦ પેસેન્જર સાથે અમદાવાદ એરપોર્ટથી ઈન્ડિગોની ફ્લાઈટ ૬ઈ ૮૨૩ બેંગલુરુ જવા રવાના થઈ હતી. ફ્લાઈટ ટેકઓફ થઈ રહી હતી ત્યારે જ પક્ષી સાથે ધડાકાભેર અથડાયું હતું. બર્ડહિટ થતાં થયેલા ધડાકાને પગલે ફાયર ટીમ, ક્વિક રિસ્પોન્સ ટીમ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ અલર્ટ મોડ પર આવી ગઈ હતી. પાયલોટે ફ્લાઇટની સ્પીડ કંટ્રોલ કરી લેન્ડિંગ કરાવી હતી. આ ઘટનામાં એરક્રાફ્ટની બ્લેડ તૂટી ગઈ હતી.
ઇન્ડિગોની બેંગલુરુ જતી ફ્લાઇટને બર્ડહિટ બાદ એરલાઇને અન્ય ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી, આ ધડાકો જોરદાર હોવાથી એના એન્જિનમાંથી ધુમાડો પણ નીકળ્યો હોવાનું જણાવ્યું હતું. બર્ડહિટ બાદ ફ્લાઈટને પરત લાવ્યા બાદ પેસેન્જરોને ઉતારી ટર્મિનલમાં પાછા લઈ જવાયા હતા. ત્યાર બાદ એન્જિનિયરો દ્વારા એરક્રાફ્ટની તપાસ કરવામાં આવતાં એના એન્જિનની બ્લેડ તૂટી ગયા હોવાની સાથે એરક્રાફ્ટને નુકસાન થયું હોવાથી એને ગ્રાઉન્ડેડ કરી દેવાયું હતું.