નવીદિલ્હીઃ કોરોનાને કારણે બેહાલ થયેલા અર્થતંત્ર માટે કેન્દ્ર સરકારે બીજું આર્થિક રાહત પેકેજ જાહેર કર્યું છે. રૂ. ૬,૨૮,૯૯૩ કરોડના આ પેકેજમાં ગયા વર્ષે જાહેર કરાયેલા પેકેજની ઘણી યોજનાઓનો વ્યાપ વધારાયો છે. આ સાથે જ અન્ય કેટલીક નવી જાહેરાત પણ કરાઈ છે.
ક્રેડિટ ગેરંટી યોજનામાં આરોગ્ય પર ફોકસ
કોરોના પ્રભાવિત સેક્ટર માટે રૂ. ૧.૧ લાખ કરોડની ક્રેડિટ ગેરંટી યોજના અપાઈ છે. તેમાંથી રૂ. ૫૦ હજાર કરોડની લોન આરોગ્ય સેક્ટર માટે હશે. આ હેઠળ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા પ્રોજેક્ટ માટે રૂ. ૧૦૦ કરોડ સુધીની લોન લઈ શકાશે. તેનું વ્યાજ ૭.૯૫%થી વધુ નહીં હોય. જો કે આ સુવિધા ૮ મેટ્રો શહેરમાં નહીં મળે. બાકીના સેક્ટર માટે રૂ. ૬૦ હજાર કરોડ રૂપિયા રખાયા છે. અન્ય સેક્ટર માટે પણ વ્યાજની મર્યાદા ૮.૨૫% રખાઈ છે. ટુરિઝમને પ્રથમવાર રાહતઃ ટુરિઝમ સેક્ટરની સ્થિતિને ધ્યાનમાં લઈ રજિસ્ટર્ડ ટ્રાવેલ એજન્સી અને ટુરિસ્ટ ગાઈડને પણ રાહત અપાઈ છે. પરવાનેદાર ટુરિસ્ટ ગાઈડને રૂ. ૧ લાખ રૂપિયા અને ટુરિસ્ટ એજન્સીને રૂ. ૧૦ લાખ રૂપિયાની લોન મળશે. તેની ૧૦૦% ગેરેન્ટર સરકાર રહેશે. લોન પર પ્રોસેસિંગ ચાર્જ નહીં લાગે. આ ઉપરાંત ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી પ્રથમ ૫ લાખ વિદેશી પર્યટકોને વિઝા મફત અપાશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે આમ તો રૂ. ૬.૨૯ લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું પરંતુ તેમાં રૂ. ૧.૪૦ લાખ કરોડની માત્ર ૪ જ નવી જાહેરાત છે. લોન ગેરંટી સ્કીમ માટે રૂ. ૧.૧૦ લાખ કરોડ, પબ્લિક હેલ્થ સ્કીમ માટે રૂ. ૨૩,૨૦૦ કરોડ, ક્રેડિટ ગેરંટી સ્કીમ માટે રૂ. ૭,૫૦૦ કરોડ અને પર્યટકોના મફત વિઝા માટે રૂ. ૧૦૦ કરોડ.