નવીદિલ્હીઃ વિદેશ જવા માગતા જે પ્રવાસીઓએ ભારતમાં પૂણે ખાતે આવેલી સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા (SII)માં બનાવવામાં આવેલી કોરોનાની રસી કોવિશીલ્ડ લીધી હશે તેમને યુરોપિયન યુનિયન દ્વારા ગ્રીન પાસ આપવામાં આવશે નહીં. આ ગ્રીન પાસ એક પ્રકારનો ડિજિટલ પાસપોર્ટ છે જે વ્યક્તિને યુરોપિયન સંઘમાં કે યુરોપનાં દેશો વચ્ચે પ્રવાસ કરવાની છૂટ આપે છે. એસ્ટ્રાઝેનેકાનાં વેક્સજેવરિયા વર્ઝનને આ પ્રકારનાં ડિજિટલ વેક્સિન પાસપોર્ટ માટે માન્યતા આપવામાં આવી છે. જેનું
યુકે અને યુરોપમાં ઉત્પાદન કરાયું છે.
એસ્ટ્રાઝેનેકા દ્વારા ભારતમાં સીરમનાં સહયોગથી બનાવવામાં આવેલ કોવિશીલ્ડને EUની મેડિકલ સંસ્થા યુરોપિયન મેડિસિન્સ એજન્સી (EMA) દ્વારા મંજૂર કરવામાં આવી નથી. EMA દ્વારા ફક્ત ૪ વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. જેમાં બાયોએન્ટેક – ફાઈઝરની કોમિર્નટી, મોડર્ના, ઓક્સફર્ડ અને અસ્ટ્રાઝેનેકાની વેક્સઝેવરિયા તેમજ જ્હોનસન એન્ડ જ્હોનસનની જાનસેનનો સમાવેશ થાય છે. ભારતના નાગરિકો માટે હવે સ્થિતિ કફોડી બની છે. કેમ કે, WHO દ્વારા કોવેક્સીનને મંજૂરી નથી અપાઇ. હવે કોવિશીલ્ડ માટે યુરોપિયન યુનિયને ના પાડી દીધી છે.
બીજી બાજુ આઈસલેન્ડ એ યુરોપનો પહેલો દેશ છે કે જેણે EMA તેમજ WHO દ્વારા માન્ય વેક્સિન લેનારને પ્રવેશ આપવાની જાહેરાત કરી છે. ફ્રાન્સે પણ આ પ્રકારે પ્રવાસીને પ્રવેશ આપવાની છૂટ આપી છે. EU દ્વારા ૧ જુલાઈથી ડિજિટલ કોવિડ સર્ટિફિકેટ શરૂ
કરવામાં આવનાર છે જે ધરાવનાર વ્યક્તિ યુરોપનાં દેશોમાં મુક્તપણે અવરજવર કરી શકશે.