મોદીના નામે ટિપ્પણી એ તો કટાક્ષ હતોઃ રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર

Wednesday 30th June 2021 07:34 EDT
 
 

સુરતઃ લોકસભાની ગત ચૂંટણી દરમિયાન બેંગ્લોર નજીક આવેલા કોલાર ખાતેની એક જાહેર સભામાં ‘બધા ચોર મોદી કેમ હોય છે‘ એ પ્રકારની ટિપ્પણી સામે થયેલા માનહાનિ કેસમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો.
 ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષના નિવેદનમાં રાહુલ ગાંધીએ એક તરફ મોટાભાગના પ્રશ્નોમાં પોતાને કોઈ જાણ નહીં હોવાનું રટણ કર્યું હતું. જ્યારે એક માત્ર સ્પષ્ટ નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, મોદી નામની કોઈ જ્ઞાતિ નથી અને પોતે રાષ્ટ્રીય નેતા હોવાને કારણે વડા પ્રધાનની કાર્યશૈલી સામે તથા ભ્રષ્ટાચાર અને ગરીબી સામે સભામાં રાષ્ટ્રહિતમાં ટિપ્પણી કરતા હોય છે. આ નિવેદનમાં મારા માટે કોઈ જ્ઞાતિનું અપમાન કરવાનો કોઈ પ્રશ્ન જ નથી, બલ્કે આ નિવેદન પણ એક પ્રકારના કટાક્ષ સિવાય બીજું કંઈ નથી. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારે થયેલું નિવેદન વડાપ્રધાનના કાર્ય ઉપર સહજ ભાષામાં કરાયેલી ટિપ્પણી છે.
સુનાવણીના આરંભમાં ફરિયાદી પૂર્ણેશ મોદીના એડવોકેટ તરફે સાક્ષીઓને રજૂ કરવા તેમજ ખાસ કરીને કોલારના કલેક્ટર અને ચૂંટણી સભાનું શૂટિંગ કરનાર વીડિયોગ્રાફરના નિવેદન લેવા અંગે ફરિયાદ પક્ષે હાઈકોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન દાખલ કરી હોવાથી રાહુલ ગાંધીનું નિવેદન બાદમાં લેવા માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે ઝડપી ટ્રાયલના મુદ્દે આ અરજીઓ ફગાવી દીધી હતી.
આ કેસમાં વધુ સુનાવણી હવે આગામી તા.૧૨મી જુલાઈએ યોજાશે. રાહુલ ગાંધી સુરત એરપોર્ટ ખાતેથી સીધા કોર્ટ સંકુલ આવ્યા હતા.


comments powered by Disqus