રાજ્યભરનાં અનેક સેન્ટરો પર વેક્સિન ખતમ

Wednesday 30th June 2021 06:50 EDT
 
 

અમદાવાદઃ એક સમયે રાજ્યનાં અનેક શહેરોમાં લોકો રસી લેતા થોડા ખચકાતા હતા. એટલું જ નહીં, એક સમયે રસી પણ ૪૫ વર્ષથી વધુ વયજૂથના લોકોને જ અપાતી હતી. આ બંને કારણસર રસીકરણ ખૂબ ધીમું હતું, પરંતુ હવે સ્થિતિ એ સર્જાઈ છે કે, રાજ્યના દરેક શહેરના રસી કેન્દ્રો પર ડોઝ ખૂટી પડ્યા છે. આ કારણસર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ અને ભરૂચ સહિતના દરેક શહેરનાં કેન્દ્રો પર લોકો રસી લીધા વિના જ પાછા જઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિએ ૨૧ જૂનથી રોજ એક લાખ લોકોને વેક્સિન આપવાનો દાવો કર્યો હતો. જોકે ૬ દિવસમાં જ તેનો ફિયાસ્કો થઈ ગયો છે. ૨૬ જૂનના અમદાવાદમાં ૧૦ થી વધુ સ્થળે વેક્સિન ઉપલબ્ધ નથી ના બોર્ડ લાગતાં ૮૪ દિવસ બાદ રસીનો બીજો ડોઝ લેવા આવેલા સિનિયર સિટીઝન્સને હાલાકી પડી હતી.

અમદાવાદઃ ઘુમામાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા, પરંતુ રસી ખૂટી જતા તંત્રએ વેક્સિન ખૂટી ગઈ હોવાની નોટિસ લગાવવી પડી હતી.

વડોદરાઃ શહેરમાં પણ એક સપ્તાહ પહેલા ૨૬ હજાર ડોઝ ફાળવાતા હતા. ત્રણ દિવસથી વડોદરાને ૧૫ હજાર ડોઝ અપાય છે.

સુરતઃ ૫ દિવસમાં ૮૦ હજાર ડોઝની જરૂર સામે ૨૮ જૂનની સ્થિતિએ છેલ્લા ત્રણ દિવસથી ૨૫ હજારને રસી અપાય છે. ૩ મહિના પહેલા ૫૦ હજારને રસી અપાતી, હવે બીજા ડોઝના સમયે રસી નથી.

રાજકોટઃ શહેરને રોજ દસ હજાર ડોઝ ફાળવાય છે. જોકે, ૨૮ જૂનની સ્થિતિએ બે દિવસથી અહીં દસ હજાર સામે બે હજાર ડોઝ ફાળવાય છે, જેથી ૬૦% રસી કેન્દ્રો બંધ કરવાની ફરજ પડી હતી.

જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લાની કેશોદ સિવિલ હોસ્પિટલમાં પણ મેસેજ મળતા ૩૦૦ લોકો રસી લેવા આવ્યા હતા, પરંતુ તંત્ર પાસે ફક્ત ૪૦ ડોઝ હોવાથી લોકો ગુસ્સે થયા હતા.

કલેક્ટરોમાં ગણગણાટ- ડોઝ વગર શું ?

સ્વર્ણિમ સંકૂલમાં મળેલી કલેક્ટર- DDO કોન્ફન્સમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દરેકને પોતાના જિલ્લામાં વેક્સિનેશન કવરેજ વધારવા સુચના આપી હતી. બહાર આવેલા કેટલાક કલેક્ટરો એક બીજા સાથેની વાતચીતમાં ડોઝ વગર શુ ? વેક્સિન વગર કેવી રીતે કવરેજ વધે ? તેવા સવાલો કરતા પણ જોવા મળ્યા હતા.

ફરજિયાત વેક્સિનને કારણે ૧૮ શહેરોમાં ‘જીવ અધ્ધર’

૨૧ જૂને ૧૦ કલાકમાં પ,૧૫,૦૦૯ નાગરીકોના વેક્સિનેશનમાં શૂરી ભાજપ સરકારનું પાણી આઠ જ દિવસમાં મપાઈ ગયુ છે. ૨૮ જૂનના રોજ ગુજરાતમાં માંડ ૨,૪૯,૧૨૫નું જ રસીકરણ થયુ છે. નવો સ્ટોક ન મળતા ૨૯ જૂનને અનેક શહેરોના સેંકડો સેન્ટરો બંધ કરવા પડયા છે.
૩૦ જૂન પહેલા ‘વેક્સિન ફરજિયાત ‘ છે તેવા ૧૮ શહેરોમાં વેપારી અને નોકરીયાતોના જીવ અધ્ધર થયા છે. જો અહીં બે દિવસમાં વેક્સિન નહી મળે તો ૧લી જૂલાઈથી વેપાર- ધંધા બંધ રાખવા પડશે એ નક્કી છે. અમદાવાદ સહિતના આઠેય મહાનગરો તેમજ ૧૮ શહેરોમાં વેપાર, ધંધો કે નોકરી કરવા સરકારે ૩૦ જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત કરી છે.

રાજ્યમાં ૪૦ ટકાને પહેલો ડોઝ

દેશના ૨૫.૯૮ કરોડ (૨૦.૯૫ ટકા) લોકોને કોરોનાની રસી અપાઇ ચુકી છે. તેમાથી ૫.૫૨ કરોડ (૪.૪૫ ટકા)ને બંને ડોઝ અપાઇ ચૂક્યો છે. દુનિયાભરમાં ટ્રેન્ડ જોઇએ તો એક વાત સ્પષ્ટ છે કે, દેશમાં ૨૦ ટકાથી વધુને રસી અપાઇ ચુકી હોય ત્યાં સંક્રમણની ત્રીજી લહેર નહીં આવે.ગુજરાતમાં સારી વાત એ છે કે ગુજરાતમાં ૨.૪૬ કરોડ (૪૦ ટકા) લોકોને રસી અપાઇ ચુકી છે. ૧.૯૩ કરોડ લોકોને પ્રથમ ડોઝ જ્યારે ૫૩ લાખ લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.

૧૪ મહિના બાદ ૧૦૦થી ઓછા કેસ

ગુજરાતમાં કોરોના વાઈરસ હાલમાં શાંત થઈ ગયો છે. સાડા ચૌદ મહિના બાદ રાજ્યમાં દૈનિક કેસની સંખ્યા ૧૦૦થી ઓછી નોંધાઈ છે.
૨૯ જૂનની સ્થિતિએ વિતેલા ૨૪ કલાકમાં રાજ્યમાં નવા ૯૬ કેસ નોંધાયા છે. ૨૯ જૂને કોવિડ-૧૯ના કારણે રાજ્યના વધુ ૩ નાગરીકોએ દમ તોડયો છે. ૨૯ જૂનની સ્થિતિએ ૨૪ કલાકમાં સારવાર દરમિયાન ૩૧૫ દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. છેલ્લી સ્થિતિ મુજબ ૩,૪૬૫ દર્દી સારવાર હેઠળ છે, જેમાંથી નાજુક સ્થિતિના કારણે ૧૪ દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૮,૨૦,૭૭૮એ પહોચી ગયો છે. અત્યાર સુધીમાં કોરોના કુલ ૧૦,૦૫૪ લોકોને ભરખી ગયો છે. રાજ્યના કુલ ૮,૦૯,૮૨૧ લોકોએ કોરોનાને હરાવ્યો છે. ૨૯ જૂનના અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, કચ્છ, મહેસાણા, નર્મદા, પોરબંદર અને તાપી સહિત કુલ ૧૪ જિલ્લામાં તેમજ ભાવનગર કોર્પોરેશનમાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી.


comments powered by Disqus