શ્રીનગરઃ બે શીખ યુવતીઓનું બંદૂકની અણીએ અપહરણ કરી પરાણે ધર્મ પરિવર્તન કરાવી લઈને તેમના નિકાહ ઉંમરમાં તેમનાથી ખાસ્સા મોટા અન્ય ધર્મના પુરુષ સાથે કરાવી દેવાનો મામલો બહાર આવતાં જ દિલ્હી અને કાશ્મીરમાં રાજકીય ગરમી આવી ગઈ હતી. દિલ્હીના ગુરુદ્વારા પ્રબંધક કમિટીના મનજિન્દર સિરસાની આગેવાનીમાં શીખોનું પ્રતિનિધિમંડળ દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નરને મળ્યું હતું. તેમણે તાત્કાલિક મામલો હાથમાં લેતાં અપહરણ કરાયેલી એક યુવતીને સાંજ પડતાં પાછી સોંપવામાં આવી હતી. બીજી યુવતીને રાત્રે ૧૦.૩૦ કલાકે તેના માતાપિતાને પરત સોંપવામાં આવી હતી. બંને યુવતીઓનો કબજો લઈ પોલીસે કોર્ટમાં રજૂ કરી હતી અને કોર્ટે તેમનો કબજો તેમના પરિવારોને સોંપ્યો હતો.