• ગુજરાત વિધાનસભા-૨૦૨૨ની ચૂંટણી ભાજપ સૌની સંયુક્ત આગેવાનીમાં લડશે: ભાજપનું પ્રદેશ અધ્યક્ષપદ સંભાળ્યાના ૧૧ મહિને સી.આર.પાટીલે નવા સંગઠનની પહેલી કારોબારી બેઠક યોજી હતી. અઢી-ત્રણ કલાકની બેઠક બાદ મિડિયા બ્રિંફિગમાં પાટીલે વર્ષ ૨૦૨૨ના અંતમાં યોજનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી સૌની સંયુક્ત આગેવાનીમાં લડવાનું જાહેર કર્યુ હતુ. તેમણે કહ્યુ કે, વડાપ્રધાન મોદીનું મુખ્ય નેતૃત્વ તો છે જ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, સંગઠન અને સિનિયર પ્રધાનો છે. સૌની સંયુક્ત આગેવાનીમાં ઈલેક્શન લડાશે.
• સોસાયટીમાં ઘૂસી અ૫શબ્દો બોલનાર પાયલ રોહતગીની ધરપકડ: સોશિયલ મીડિયામાં બેફામ નિવેદનો કરી અનેક વિવાદોમાં સપડાયેલી બોલિવૂડની અભિનેત્રી પાયલ રોહતગીએ ઘરઆંગણે નવું કારસ્તાન કર્યું છે. માતા પિતા સાથે સેટેલાઈટના સુંદરવન એપિટોમમાં રહેતી પાયલે સોસાયટીની એન્યુઅલ જનરલ મીટિંગમાં સભ્ય ન હોવા છતાં હાજર રહી અભદ્ર ભાષા પ્રયોગ કરી ચેરમેનને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદના આધારે સેટેલાઈટ પોલીસે ૨૫ જૂને તેની ધરપકડ કરી હતી. બાદમાં જામીન પર મુક્ત કરાઈ હતી..
• રાજ્યના ૮ મહાનગરો સહિત ૧૮ શહેરોમાં કરફ્યૂનો રાતના ૧૦થી અમલ: ગુજરાત સરકારે રાજ્યના નિયંત્રણ હેઠળના ૩૬ શહેરો પૈકી ૧૮ શહેરોમાં કરફ્યૂનો સમય એક કલાક ઘટાડી રાતના ૧૦થી સવારના ૬ સુધીનો કર્યો છે. આ શહેરોમાં અમદાવાદ સહિત ૮ મહાનગરો, ઉપરાંત વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, ભરૂચ, મહેસાણા, પાટણ, મોરબી, ભૂજ અને ગાંધીધામ સામેલ છે, જ્યારે ૧૮ શહેરો- વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ-સોમનાથ છોટા ઉદેપુર, વિરમગામ, બોટાદ, પોરબંદર, પાલનપુર, હિંમતનગર, અમરેલી, સુરેન્દ્રનગર, દાહોદ, આણંદ, નડિયાદ અને ગોધરામાંથી સંચારબંધી ઉઠાવી લેવાઈ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને એમના નિવાસસ્થાને યોજાયેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણયો લેવાયા હતા. જ્યાં હજી કરફ્યૂનો અમલ ચાલુ છે તેવા ૮ મહાનગરો સહિત ૧૦ બીજા શહેરોમાં વ્યવસાયિક પ્રવૃત્તિ કરતાં સંચાલકો યાને નાના દુકાનદારો, તેમના સ્ટાફ, લારી,ગલ્લા- ફેરિયાઓ સહિત તમામે ૩૦ જૂન સુધી કોરોનાની રસી ફરજિયાત લેવી પડશે.
• ગૃહિણીઓને મોટી રાહત, નોટબંધી પછી જમા કરાયેલી ૨.૫ લાખ સુધીની થાપણો પર કોઈ ટેક્સ નહીં લાગે: નોટબંધી પછી ગૃહિણીઓ દ્વારા જમા કરવામાં આવેલી રૂ. ૨.૫ લાખ સુધીની રોકડ થાપણો આવકવેરાના તપાસના સર્કલમાં આવશે નહીં. કારણ કે ઇન્કમટેક્સ એપલેટ ટ્રિબ્યૂનલ(ITAT)નું માનવું છે કે, આ પ્રકારની જમા રકમને આવક ગણી શકાય નહીં. એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ચુકાદો આપતાં ITATની આગરા બેન્ચે જણાવ્યું હતું કે, અમે સ્પષ્ટ કરીએ છીએ કે નોટબંધી બાદ ગૃહિણીઓ દ્વારા રૂ. ૨.૫ લાખની સીમા સુધી રોકડ જમા થવાના સંદર્ભમાં થનારી કાર્યવાહી દરમિયાન આ ચુકાદાને ઉદાહરણરૂપ માનવામાં આવે.
• દુબઈ જનારા પેસેન્જર માટે અમદાવાદ એરપોર્ટ પર ૪ કલાક વહેલા જઈ RT-લેમ્પ ટેસ્ટ ફરજિયાત: દેશમાં કોરોના સંક્રમણ ઘટતાં હવે દુબઈ સહિત વિદેશ જતી ફ્લાઈટો ધીરે-ધીરે શરૂ થઈ રહી છે. ત્યારે હવે દેશના અન્ય મોટા એરપોર્ટની જેમ અમદાવાદ એરપોર્ટ પર પણ પણ RT-લેમ્પ (રિવર્સ ટ્રાન્સ્ક્રિપ્શન લૂપ-મેડિએટેડ ઇસોથર્મલ એમ્પ્લિફિકેશન) ટેસ્ટ સેન્ટર ઊભું કરવામાં આવશે.
એરપોર્ટ પર શરૂ થનારા RT-લેમ્પ ટેસ્ટ સેન્ટર પર મુસાફરોએ એક ટેસ્ટના અંદાજે રૂ.૪૫૦૦ની આસપાસ ખર્ચવા પડશે. ગુજરાત સરકારે આ ટેસ્ટ માટે ૪૦૦૦ રૂપિયા નક્કી કર્યા છે, એટલે કે અમદાવાદથી દુબઈ જવાની ટિકિટ માની લો કે ૨૦ હજાર છે તો તેના ૨૫ ટકા તો ખાલી એરપોર્ટ પર ટેસ્ટ કરવાના લેવામાં આવશે. અત્યારે દુબઈ એકમાત્ર એવું ડેસ્ટિનેશન છે જ્યાંથી વિશ્વના તમામ દેશોમાં સરળતાથી અવરજવર કરી શકાય છે, જેથી દુબઈમાં એન્ટ્રી માટે પણ કોવિડના કડક નિયમો બનાવવામાં આવ્યા છે. પ્રથમ તો મુસાફરોએ દુબઇમાં માન્ય હોય એવી કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ લીધા હોવા જરૂરી છે. બીજા નંબરે મુસાફરે ડિપાર્ચરના ૪૮ કલાક પહેલાંનો નેગેટિવ RT-PCR ટેસ્ટનું સર્ટિફિકેટ રજૂ કરવું પડશે અને નંબર ત્રણમાં ફ્લાઇટ સમયના ૪ કલાક પહેલાં રેપિડ PCR ટેસ્ટનો સમાવેશ થાય છે. હાલમાં રેપિડ પીસીઆર ટેસ્ટ માટે મુંબઇ, બેંગ્લુરુ, કોલકાતા, દિલ્હી, કોચી એરપોર્ટમાં રેપિડ PCR ટેસ્ટ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે.
• રાજ્યમાં ૧૫ ઓગસ્ટ પછી સ્કૂલ ખૂલી શકે છે: રાજય સરકારની કેબિનેટની મળેલી બેઠકમાં પણ સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ પુન: આરંભવાનો રાગ છેડાયો હતો. સરકારના પ્રધાનોએ કોરોનાના કેસ ઘટતા કર્ફયુનો એક કલાકનો સમય ઘટાડવા અને ધંધા-રોજગાર વધુ કલાક ખુલ્લા રહીં શકે તેવી છૂટ આપવાના અભિપ્રાયો વ્યકત કર્યા હતા. બીજી બાજું, શાળાઓમાં કોરોનાની એસઓપીનું પાલન કરાવીને ઓફલાઇન શિક્ષણ કયારે ચાલુ કરવું અને આ બાબતે શું કરવું તેવી વિચારણા પણ થઇ હતી. જો કે, આ મુદ્દે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, ઉચ્ચ કમિટી નિર્ણય કરે પછી જ આ બાબતે કોઇ સત્તાવાર નિર્ણય લેવાશે.