વેરાવળઃ વેરાવળમાં આવેલી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દેશવિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂકી છે. તાજેતરમાં જ અહીં સરકારની શિષ્યવૃત્તિ પર પ્રવેશ મેળવવા વિદેશના ૯ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. જે પૈકી ઇરાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના ૩ વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે.
આ અંગેની વિગતો આપતાં યુનિ.ના અનુસ્નાતક ભવનના વડા ડો. લલિતકુમાર પટેલે જણાવ્યું હતું કે, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી હવે આઇસીસીઆર (ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ)ના લિસ્ટમાં પણ સામેલ થઇ છે. આ એ માળખું છે જેમાં વિદેશના વિદ્યાર્થીઓને સરકારના ખર્ચે અહીંની યુનિ.ના વિવિધ કોર્સમાં એડમિશન મળી શકે. આ વર્ષે તેમાં જુદા જુદા ૯ દેશોના વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. જેમાં સંસ્કૃતમાં અભ્યાસ કરવા માંગતા ૩ વિદ્યાર્થીઓની અરજી સ્વિકારાઇ હતી.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા ૪ નવા અભ્યાસક્રમની શરૂઆત કરાઈ છે. જેમાં ૪ વર્ષની મુદ્દતનો ઈન્ટિગ્રેટેડ બીએ કોર્સ, એમએ જનરલ સંસ્કૃત, ઘેરબેઠાં સંસ્કૃતભાષામાં એમએ, અને સંસ્કૃતનો ડિપ્લોમા. જે પૈકી એમએ જનરલ સંસ્કૃતમાં કોઈપણ વિદ્યાશાખાના ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકે છે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં ૯૪ વિદ્યાર્થીઓએ પીએચડી ની પદવી મેળવી છે. અત્યારે
અહીં ૬૧ વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં જુદા જુદા વિષયો પર પીએચડી કરે છે.