પ્રભાસપાટણઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન પૂજા અર્ચના કરી ગુજરાતના કલ્યાણ અને આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
મુખ્યપ્રધાન અને તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ સોમનાથ મહાદેવની મહાપુજા અભિષેક અને ધ્વજા પૂજા કરી ધન્યતા અનુભવી હતી.
મુખ્યપ્રધાનની સાથે રાજકોટના અગ્રણી નીતિન ભારદ્વાજ અને પરિવારજનો પૂજા-અર્ચનામાં સહભાગી થયા હતા. પ્રથમ સૌએ શ્રી ગણેશજીના મંદિરે દર્શન કર્યા હતા. સોમનાથ મંદિરના પૂજારી મિથીલેશ દવેએ શાસ્ત્રોક્ત વિધિ કરાવી હતી. આ પૂર્વે સોમનાથ મંદિર પરિસરમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપ ચાવડાએ સ્મૃતિચિન્હ અર્પણ કરી મુખ્યપ્રધાનનું સ્વાગત કર્યું હતું. આ વેળાએ સંસદ સભ્ય રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ અને ઇન્ચાર્જ કલેક્ટર, અધિક કલેકટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.