વડોદરા: ભાવિ પેઢી આપણા ભવ્ય વારસાથી પરિચિત થાય તે માટે વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડે વર્ષ-૧૮૯૪માં યુ.કે.ના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ જેવું વડોદરાના કમાટીબાગમાં ભવ્ય મ્યુઝિયમ બનાવ્યું હતું. જેમાં કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિના બેનમૂન વારસાને સાચવવામાં આવ્યો છે. વડોદરા મ્યુઝિયમમાં ત્રણ નવી ધરોહરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં ખંભાત ખાતે ખોદકામ દરમિયાન જૈન તીર્થંકરની આરસની અત્યંત દુર્લભ પ્રતિમા મળી હતી. ૧૫ કિલોની પ્રતિમા સવા ફૂટ ઊંચી અને પોણો ફૂટ પહોળી છે. જેમાં લખેલા લખાણ મુજબ સવંત ૧૩૦૧ એટલે કે ૭૭૭ વર્ષ પૌરાણિક આ પ્રતિમા છે.
આજ રીતે બનાસકાંઠાના દાંતા નજીક દિવડી ખાતે એક બિલ્ડિંગના ખોદકામ દરમિયાન સંવત ૧૨૫૪ની એટલે કે ૮૨૨ વર્ષ જૂની બે પ્રતિમા મળી હતી. તીર્થંકરોની આરસની આ પ્રતિમાઓ પણ અત્યંત કલાત્મક અને જાણે જીવંત હોય તેવી દુર્લભ છે. આ ત્રણેય પ્રતિમાને વિધિવત કલેક્ટર દ્વારા વડોદરા મ્યુઝિયમને સોંપવામાં આવતાં બે પ્રતિમાને હાલમાં જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે. જૈન તીર્થંકરોની ત્રણેય દુર્લભ પ્રતિમાઓને વડોદરાના મ્યુઝિયમમાં લવાયા બાદ ખાસ કારીગરો દ્વારા રિસ્ટોર કરાવી પહેલાં જેવી સુંદર બનાવવામાં આવી છે.