રાજકોટ: રાષ્ટ્રીય શાયર તરીકે જેઓને સમગ્ર વિશ્વ ઓળખે છે એવા મૂર્ધન્ય સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ જન્મજયંતી શનિવારે રાજ્યમાં ઉજવવાઈ હતી. ત્યારે ઘણા ઓછાને ખબર હશે કે પાળિયાને પણ બેઠા કરનારા લોકસાહિત્યના મોતી ઘર-ઘર સુધી પહોંચાડનારા મેઘાણીજીની પ્રથમ પ્રતિમાનું ઈ.સ. ૧૯૬૧માં ઉપલેટામાં અનાવરણ કરાયું હતું. એ દિવસ ભવ્ય સમારોહ યોજાયો હતો, જેમાં ફિલ્મ ક્ષેત્રે જોડાયેલા કલાકારો બલરાજ સહાની, કૈફી આઝમી, ટુનટુન, નાટ્યક્ષેત્રે આગળ પડતું નામ ધરાવતા જયશંકર સુંદરી, લાખાભાઈ, પિંગળશી મેઘાણંદ ગઢવી, પદ્મશ્રી દિવાળીબહેન ભીલ, મીઠાભાઈ પરસાણા, લોકસંસ્કૃતિકાર પુષ્કર ચંદરવાકર જેવી અનેક નામી હસ્તીઓએ હાજરી આપી હતી.